આણંદ મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે રૂપિયા 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેઈન લાઈનની કામગીરી હાથ ધરાઈ

આણંદ મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે રૂપિયા 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેઈન લાઈનની કામગીરી હાથ ધરાઈ
તાહિર મેમણ – આણંદ – 29/07/2026 – આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઈસ્માઈલનગર વિસ્તારની સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહેતી હોવાથી સ્થાનિક રહીશો સતત હેરાન-પરેશાન થતાં હતા. આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અને સચોટ નિકાલ લાવવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ કાયમી નિકાલના આયોજન અન્વયે મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ની ગ્રાન્ટમાંથી રૂ. ૧૩ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં નવી સ્ટ્રોમ ડ્રેઈન (વરસાદી પાણીની લાઈન) નાખવાનું મહત્વપૂર્ણ કામ હાથ પર લેવામાં આવ્યું છે.
આ કામગીરી અંતર્ગત સ્ટ્રોમ ડ્રેઈનનું કામ પૂર્ણ થતાં જ આ વિસ્તારની જુદી જુદી સોસાયટીઓ કોહિનૂર, ઉમરીનગર, અક્ષાપાર્ક, હિના પાર્ક, જકાતનાકા વિસ્તાર, બિસ્મીલ્લા સોસાયટી, તથા માણેજવાળા સ્કૂલની આજુબાજુના તમામ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો ઝડપી નિકાલ શકય બનશે. આ પાણીને સ્ટ્રોમ ડ્રેઈન મારફતે સલાટીયા રોડ તરફ લઈ જવામાં આવશે.
વધુમાં, જરૂર પડેથી એક વિશેષ પમ્પિંગ સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે. આ પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણીને પમ્પિંગ કરીને સીધું લાંભવેલ કાંસમાં ઠાલવવામાં આવશે.
આમ, મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો પણ હવે કાયમી ધોરણે નિકાલ થઈ શકશે.
*****





