
ઝઘડિયાના વણાકપુરમાં મધરાતે દુર્ઘટના, કાચા મકાનની દિવાલ ધરાશાય થતાં ભાઈ-બહેન દટાયા.




ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મધરાતે એક દુઃખદ ઘટના બની છે. કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાય થતાં દિવાલ નજીક સૂતેલા ભાઈ-બહેન માટી નીચે દટાઈ ગયા હતા. બંનેને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વણાકપુર ગામના રહેવાસી રમેશભાઈ વસાવા તેમના પરિવાર સાથે રાત્રે પોતાના કાચા મકાનમાં સુતા હતા. દરમિયાન રાત્રે અંદાજે ત્રણ વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાય થતાં દિવાલ પાસે સૂતેલા ભાઈ-બહેન તેના નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં રમેશભાઈ અને તેમની પત્નીએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી માટી નીચે દટાયેલા નરેશ વસાવા અને સંગીતા વસાવાને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતા વસાવાને પણ ઇજાઓ પહોંચી છે. હાલ બંને ભાઈ-બહેનની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ ઘટનાએ સમગ્ર વણાકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જ્યો છે.
ઈરફાન ખત્રી
રાજપારડી





