
કેશોદના શ્રી જલારામ મંદિર ખાતે રઘુવંશી સમાજની મહિલાઓ દ્વારા નાગ પંચમીનો પાવન પર્વ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજની બહેનોએ ઉપસ્થિત રહી નાગદેવતાનું વિધિવત પૂજન-અર્ચન કરી ધર્મલાભ મેળવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શ્રી જલારામ મંદિરના લલીતભાઈ પુજારીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નાગદેવતાનું વિધિવત પૂજન કરાવ્યું હતું. ત્યારબાદ નાગદેવતાની આરતી ઉતારી નેવેદ્ય અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનોએ ભક્તિભાવથી કીર્તન-ભજન ગાઈ સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે નાગ પંચમીના પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરા અનુસાર શ્રાવણ માસની સુદ પાંચમે ઉજવાતી નાગ પંચમી પ્રકૃતિ પ્રત્યે આદર, જીવમાત્ર પ્રત્યે કરુણા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો પવિત્ર તહેવાર છે. નાગદેવતાની આરાધનાથી સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને પરિવારના કલ્યાણની કામના કરવામાં આવે છે તેમજ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં નાગદેવતાને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. કાર્યક્રમના અંતે સૌએ નાગદેવતાના આશીર્વાદ મેળવી સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 



