કાલોલ શહેરના કોલેજ વિસ્તાર પાછળ વીજ કંપની ઘોર બેદરકારી, વૃક્ષ સાથે બાંધેલા ખુલ્લા વીજ વાયરો થી જીવલેણ જોખમ.

તારીખ ૦૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના કોલેજ વિસ્તાર પાછળ આવેલા ખેતરોમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો અને અબોલ પશુઓના જીવ પર ભારે જોખમ મંડરાઈ રહ્યું છે. જેટકો (JETCO) કંપની દ્વારા પોતાની ડેડ લાઇનના ખુલ્લા વીજ વાયરો એક વૃક્ષ સાથે બાંધીને છોડી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગત મહિને ભારે વરસાદ દરમિયાન કોલેજ વિસ્તારની MGVCL વીજલાઇન અને જેટકોના વીજ સ્ટેશનથી પંચમહાલ સ્ટીલ તરફ જતી જૂની ડેડ લાઇન વચ્ચે ફોલ્ટ થતાં બંને લાઈનો તૂટી ગઈ હતી.વીજ પુરવઠો તો પુનઃશરૂ કરવામાં આવ્યો, પરંતુ જેટકોની ટીમે ડેડ લાઇનના ખુલ્લા વાયરો ખેતરમાં આવેલા એક ઝાડ સાથે બાંધી દીધા અને ત્યાંથી જતા રહ્યા.MGVCL અને જીઆઇડીસીની લાઈનો એકબીજા ઉપર-નીચેથી ક્રોસ થતી હોવાથી વરસાદ કે વાવાઝોડા વખતે બંને લાઈન ટચ થતાં ડેડ લાઇન પણ જીવંત (ચાલુ) થઈ જાય છે.ગત અઠવાડિયે ઝાડ સાથે બાંધેલા ખુલ્લા વાયરોના સંપર્કમાં આવવાથી એક કૂતરાનું મોત નીપજ્યું હતું.આ વીજ વાયરો સ્થાનિક ખેડૂત સુરેશચંદ્ર મણીલાલ પટેલના ખેતરના ઝાડ સાથે બાંધેલા છે, જ્યાં નજીકમાં જ તેમનો પશુઓનો તબેલો પણ આવેલો છે.ચોમાસાની ઋતુમાં ભેજ અને પાણીના કારણે અકસ્માતની શક્યતા વધી જતાં છેલ્લા ૧૫ દિવસથી ખેડૂતો અને તેમના પશુઓ પર સતત જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.અસરગ્રસ્ત ખેડૂત સુરેશચંદ્ર પટેલના જણાવ્યા અનુસાર, તેમણે આ અંગે જેટકોના સંબંધિત અધિકારીઓને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.”કોઈ મોટી ગંભીર હોનારત કે જાનહાની થાય તે પહેલાં જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે આ ખુલ્લા વીજ વાયરો દૂર કરે અને કાયમી ઉકેલ લાવે.”— સુરેશચંદ્ર મણીલાલ પટેલ (સ્થાનિક ખેડૂત)







