
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભગવાન બિરસામુંડા જન જાતીય ગૌરવ પરિવહન” યોજના હેઠળ શામળાજી એસ.ટી.ડેપો ખાતેથી 9 મીડી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું,
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આદિજાતિ વિસ્તારોની કનેક્ટિવિટી વધારવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. “ભગવાન બિરસામુંડા જન જાતીય ગૌરવ પરિવહન” યોજના હેઠળ શામળાજી એસ.ટી.ડેપો ખાતેથી 9 મીડી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના હસ્તે આ 9 મીડી વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ ભિલોડા અને મોડાસા એસ.ટી. ડેપો તેમજ શામળાજી પ્રાયોજના વહીવટદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો
આદિજાતિ વિસ્તારોના અંતરિયાળ ગામો અને ફળિયાઓ સુધી પરિવહન સેવા પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલા આ મીડી વાહનોના કારણે સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.
વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી પહોંચવામાં સરળતા રહેશે, જ્યારે નોકરિયાતો, ધંધાર્થીઓ, ખેડૂતો અને અન્ય ગ્રામજનોને નજીકના નગરો તથા બજારો સાથે જોડાણ મળશે.મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે પરિવહન સુવિધા અત્યંત જરૂરી છે. અંતરિયાળ વિસ્તારો સુધી એસ.ટી. સેવા પહોંચવાથી મુસાફરીનો સમય ઘટશે અને લોકોની રોજિંદી જરૂરિયાતો તથા આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.આ પ્રસંગે પ્રાયોજના અધિકારી જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા





