
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના શામગહાન ગામે ચૌહાણ ફળિયામાં આવેલી જ્ઞાનદીપ શાળા ખાતે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના ટ્રસ્ટી જગદીશભાઈ ગામીત, આચાર્ય રંજીતાબેન ગાવિત, કિરણભાઈ તથા સમગ્ર શાળા પરિવારના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, અસ્મિતા અને સમાજ જાગૃતિના સંસ્કારોનું સિંચન થાય તેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિ અને આજનો યુવાન કઈ દિશામાં જઈ રહ્યો છે તે અંગે સંદેશ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતુ.આ ઉપરાંત આદિવાસી સમાજની સંસ્કૃતિ, અસ્મિતા અને તેના જતન અંગે વક્તૃત્વ સ્પર્ધા, ઢોલ-વાજિંત્ર વાદક સ્પર્ધા તેમજ વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.અહી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની કળા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતુ.આ પ્રસંગે આદિવાસી જનજાગૃતિ યુવા મંચ (SOI)ના યુથ લીડર નીતિનભાઈ રાઉત તથા અજયભાઈ ગાવિતે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજ સામેના પડકારો, આદિવાસી સંસ્કૃતિના જતન અને આધુનિક યુગમાં પોતાની પરંપરા તથા ઓળખ જાળવી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતુ.આજની પેઢીએ આધુનિકતા સાથે કદમ મિલાવવાની સાથે પોતાના સમાજના રીતિ-રિવાજો, પરંપરા, સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખવા માટે વ્યક્તિગત સ્તરે પ્રયાસો કરવા જોઈએ તેવો સમાજ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.બાળકો વિશ્વ આદિવાસી દિવસનું મહત્ત્વ સમજે, પોતાની સમાજની ઓળખ અને સંસ્કૃતિને જાળવી રાખે તેમજ શિક્ષણ અને કૌશલ્યની સાથે સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ કેળવે તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં આદિવાસી યુવા મંચ–શામગહાન વિસ્તારની યુવા ટીમના સભ્યો સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..





