
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દાદી પ્રકાશમણીજીની પાવન સ્મૃતિમાં અને આઝાદીના ૭૯મા સ્વાતંત્ર્ય વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત કરવામાં આવી છે.
આ અભિયાન થકી ૧૦ કરોડ લોકોને નશા મુક્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તા. ૬ ઓગસ્ટથી તા. ૨૦ ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત નેત્રંગ શાખા દ્વારા તા. ૧૧ના રોજ આદર્શ નિવાસી શાળા અને શ્રીમતી એમ. એમ. ભક્ત હાઈસ્કૂલ ખાતેથી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
સંસ્થાના નેત્રંગ શાખાના સુનીતાદીદી અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા આર્થિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “હું ક્યારેય વ્યસનનું સેવન નહીં કરું, મારા પરિવારને, મારી શાળાને વ્યસન મુક્ત બનાવીશ, દેશ અને રાજ્યને વ્યસન મુક્ત બનાવીશ” તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ભક્ત હાઈસ્કૂલના આચાર્ય રતનભાઈ વસાવા, ભાવનાબેન દેસાઈ, આદર્શ નિવાસી શાળાના આચાર્ય અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. “વિકસિત ભારત કી ઓર એક સશક્ત કદમ” ના સંકલ્પ સાથે આ વ્યસન મુક્ત અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.



