ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના તક્ષશિલા ગુરૂકુળ, ડેમાઈ ખાતે ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના તક્ષશિલા ગુરૂકુળ, ડેમાઈ ખાતે ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બાયડ તાલુકાના ડેમાઈ ખાતે તક્ષશિલા ગુરૂકુળમાં ફાયર વિભાગ દ્વારા આગથી બચાવ, સલામતી તથા આપત્તિના સમયે રાહત-બચાવ કામગીરી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા ફાયર વિભાગની ટીમ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં આગ લાગવાના વિવિધ કારણો, આગની ઘટનામાં રાખવાની તકેદારી, સલામતીના પગલાં તેમજ કટોકટીની પરિસ્થિતિમાં અસરકારક રીતે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ફાયર ટીમ દ્વારા આગ બુઝાવવા તથા રાહત અને બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક સાધનો અને સંસાધનોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ, ઉપસ્થિતોને સાધનોના યોગ્ય અને સલામત ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન (ડેમોસ્ટ્રેશન) કરાવવામાં આવ્યું હતું. આ નિદર્શન દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને આપત્તિના સમયે તાત્કાલિક તથા સુરક્ષિત રીતે કામગીરી કરવાની વ્યવહારુ સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તક્ષશિલા ગુરૂકુળના આચાર્ય, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલા નિદર્શનનો લાભ લીધો હતો. જિલ્લા કક્ષાએથી ડી.પી.ઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

ફાયર વિભાગ દ્વારા ઉપસ્થિત સૌને આગની ઘટના સમયે ગભરાયા વિના સતર્કતા અને સમજદારીપૂર્વક કામગીરી કરવા, પ્રાથમિક સુરક્ષા પગલાં લેવા તેમજ જરૂરી સમયે ફાયર વિભાગની મદદ મેળવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં આગ સલામતી, આપત્તિ વ્યવસ્થાપન અને રાહત-બચાવ કામગીરી અંગે જાગૃતિ વધારી, કટોકટીની પરિસ્થિતિમાં જાનમાલનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!