હાલોલ:સોનાવિટી અને ગડીત પ્રાથમિક શાળામાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાયુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૮.૨૦૨૬
વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત, સ્વચ્છ, સુવિધાયુક્ત અને ગુણવત્તાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે હેતુથી પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા હાલોલ તાલુકાના સોનાવિટી અને ગડીત પ્રાથમિક શાળામાં વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત સોનાવિટી ખાતે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ, જ્યારે ગડીત ખાતે નવા વિકાસકાર્યોનું ભૂમિપૂજન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ના હસ્તે કરવામાં આવ્યું હતું.શાળામાં વિદ્યાર્થીઓ માટે બે નવા વર્ગખંડ, નવું મધ્યાહન ભોજન (MDM) રસોડું, છોકરા અને છોકરીઓ માટે નવા શૌચાલય બ્લોક તેમજ સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિકાસકાર્ય પાછળ અંદાજે ₹35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.નવી સુવિધાઓથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સાનુકૂળ વાતાવરણ મળવાની સાથે પ્રયોગાત્મક શિક્ષણની તકોમાં પણ વધારો થશે. ખાસ કરીને સાયન્સ લેબના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને પ્રાયોગિક જ્ઞાનને પ્રોત્સાહન મળશે.જ્યારે ગડીત પ્રાથમિક શાળાના માળખાકીય વિકાસ માટે ગુરુવારના રોજ ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આ વિકાસકાર્યો માટે અંદાજે ₹33 લાખનો ખર્ચ કરવામાં આવશે.આ અંતર્ગત શાળામાં બે નવા વર્ગખંડ, નવું મધ્યાહન ભોજન (MDM) રસોડું તેમજ છોકરા અને છોકરીઓ માટે નવો શૌચાલય બ્લોક બનાવવામાં આવશે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શાળાના પાયાના માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત તથા ગુણવત્તાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે.જ્યારે આ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનના CSR Head નીરજ કુંદનાની તથા તેમની CSR ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.આ પ્રસંગે તાલુકા પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPO), BRC કો-ઓર્ડિનેટર સહિત સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો અને અન્ય મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા આ પ્રકારના પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસને વેગ આપવાનો અને ગુણવત્તાસભર શૈક્ષણિક માળખાનું નિર્માણ કરવાનો છે. સોનાવિટી અને ગડીત પ્રાથમિક શાળામાં હાથ ધરાયેલા આ વિકાસકાર્યો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ પગલું છે.






