



WAKANER:વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા સ્વચ્છતા મુદ્દે એક્શન મોડમાં

દુકાનો-ખાણીપીણીના સ્થળોની તપાસ, નિયમભંગ બદલ રૂ.25,500નો દંડ વસૂલાયો

વાંકાનેર: શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ કચરાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ન ફેલાય તે માટે વાંકાનેર નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. ચીફ ઓફિસરશ્રી ધવલભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો તેમજ ખાણી-પીણીના વ્યવસાયિક સ્થળોની સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વ્યવસાયિક સ્થળોએ સ્વચ્છતાની સ્થિતિ, કચરાના યોગ્ય નિકાલ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં જરૂરી જણાયું ત્યાં વેપારીઓને સ્વચ્છતા જાળવવા તથા કચરો જાહેર સ્થળોએ ન નાખવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનારા સ્થળો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.25,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
નગરપાલિકાની આ કામગીરી માત્ર દંડ વસૂલવા પૂરતી ન રહે પરંતુ શહેરમાં સ્વચ્છતા અંગે જવાબદારીની ભાવના ઊભી કરે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. ખાસ કરીને ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે જાહેર આરોગ્યની દૃષ્ટિએ પણ જરૂરી છે.
વાંકાનેરને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાની જવાબદારી માત્ર નગરપાલિકાની નથી, પરંતુ વેપારીઓ તથા નાગરિકોની પણ એટલી જ છે. નગરપાલિકા દ્વારા વેપારીઓને પોતાના વ્યવસાયિક સ્થળે સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને જાહેર સ્થળે કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી છે.

ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયાની આગેવાની હેઠળ શરૂ થયેલી આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહે અને માત્ર દંડની કાર્યવાહી નહીં પરંતુ ‘સ્વચ્છ વાંકાનેર’ માટે જનભાગીદારીનું અભિયાન બને તેવી અપેક્ષા નગરજનોમાં વ્યક્ત થઈ રહી છે.


