
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના કચ્છી સમાજના બે વડીલોનું દેહદાન,દેહદાનથી મેડિકલ વિદ્યાર્થીઓને મળશે અમૂલ્ય સહાય
જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી મોઘીબેન પારસીયા અને અંબાલાલભાઈ પટેલના દેહદાનથી મેડિકલ વિદ્યાર્થીઓને મળશે અમૂલ્ય સહાય

મોડાસા : દેહદાન જેવી માનવતાપૂર્ણ પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. જાયન્ટ્સ મોડાસાની પ્રેરણા અને સતત જાગૃતિ અભિયાનના પરિણામે અરવલ્લી જિલ્લાના કચ્છી સમાજના બે વડીલોએ દેહદાન કરીને અનોખી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.મોડાસા તાલુકાના ધોલવાણી કંપાના સ્વ. મોઘીબેન સવગણભાઈ પારસીયા તથા મોડાસા-ગણેશપુરા કંપાના સ્વ. અંબાલાલભાઈ કરમશીભાઈ પટેલના દેહદાનની પ્રક્રિયા ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે કરવામાં આવી હતી. આ બંને દેહદાન સાથે જાયન્ટ્સ મોડાસા દ્વારા અત્યાર સુધીમાં કુલ પાંચમું અને છઠ્ઠું દેહદાન નોંધાયું છે.જાયન્ટ્સ મોડાસાના રક્તદાન, દેહદાન અને ચક્ષુદાન પ્રોજેક્ટના ચેરમેન નવીનભાઈ રામાણી, પ્રમુખ અમરીશ પંડ્યા સહિતની ટીમ દ્વારા સમાજમાં દેહદાન અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની ઇન્ટરનેશનલ કમિટીના સભ્ય નિલેશ જોશીએ જણાવ્યું કે દેહદાન માત્ર સેવાકાર્ય નથી, પરંતુ મેડિકલ શિક્ષણ અને સંશોધન માટે પણ તેનું વિશેષ મહત્વ છે. દેહદાન અંગેની ભય અને અંધશ્રદ્ધા દૂર કરી તેના વૈજ્ઞાનિક અને માનવતાવાદી મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે ઇસ્કોન મંદિરના પ્રભુ મનુભીષ્ટન દાસ તથા કબીરપંથી મહંત બાલકદાસજીએ ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે જન્મ અને મૃત્યુ અંગે આધ્યાત્મિક સમજ આપી દેહદાનની સેવાભાવી પ્રવૃત્તિને બિરદાવી હતી.દેહદાનથી મેડિકલ વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના અને તબીબી અભ્યાસમાં અમૂલ્ય સહાય મળે છે. ભવિષ્યમાં દર્દીઓની સારવાર કરનારા તબીબોના ઘડતરમાં પણ દેહદાન પરોક્ષ રીતે મહત્વનું યોગદાન આપે છે.
આ સેવાકીય પ્રવૃત્તિમાં કલ્પેશ પંડ્યા, પ્રદીપભાઈ ખંભોળજા, મંત્રી વિનોદભાઈ ભાવસાર અને પ્રવીણભાઈ પરમાર સહિતના સભ્યો સક્રિય રહ્યા હતા સ્વ. મોઘીબેન પારસીયાના પરિવારજનો શાંતિલાલ પારસીયા અને પ્રકાશ પારસીયા તથા સ્વ. અંબાલાલભાઈ પટેલના પુત્ર વિજયભાઈ પટેલ અને પરિવારજનોએ દેહદાન માટે સંમતિ આપી માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.બંને પરિવારોના આ નિર્ણયથી સમાજમાં દેહદાન અંગે જાગૃતિ વધવાની સાથે અન્ય લોકોને પણ માનવસેવાના આ પવિત્ર કાર્ય માટે પ્રેરણા મળશે.



