વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રાંગણમાં લેસર શો થકી સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર
ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર નર્મદા જિલ્લાની મુલાકાતે
એકતાનગર ખાતે નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં સામેલ થઈને દિવ્યતાનો અનુભવ કરતા મંત્રીશ્રી
——-
રાજપીપલા, શુક્રવાર :- આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું કેન્દ્રબિંદુ બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે અખંડ ભારતના પ્રણેતા, લોહપુરુષ એવા સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સહેલાણીઓ માટે યોજાતા વિશેષ આકર્ષણનું કેન્દ્ર અને સરદાર સાહેબની જીવન ઝાંખીનો અદભૂત લેઝર શો નિહાળ્યો હતો. તેઓશ્રીએ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવેલા સરદાર સાહેબના જીવનકવન અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણની ઝીણવટભરી માહિતી લેઝર શોના માધ્યમથી મેળવી અતિ પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. લેઝર શો નિહાળ્યા બાદ પ્રભારી મંત્રીશ્રીએ મા નર્મદાના તટે નર્મદા આરતીમાં સહભાગી બની ભાવપૂર્વક પૂજન કરી દિવ્યતાનો ભાવ પ્રગટ કર્યો હતો.
જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ પોતાના નર્મદા જિલ્લાના પ્રવાસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ વાર હાજરી આપ્યા બાદ ગૌરવાન્વિત થયાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે સાંજે લેઝર શો અને નર્મદા આરતીમાં મંત્રીશ્રી સાથે નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી ઉમેશભાઈ શુક્લા, ગરૂડેશ્વરના મામલતદારશ્રી મનીષભાઈ ભોઈ, મંત્રીશ્રીના લાયઝન અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પી.બી.રાણપરિયા સહિત અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સામેલ થયા હતા.