વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ – વાંસદા
વાંસદા વિસ્તારમાંથી ગૌવંશ ભરેલો ટેમ્પો મોળાઆંબા ગામેથી ઝડપાયો
વાંસદા તાલુકાના મોળાઆંબા પાસે ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલા ટેમ્પોને ઉભા રાખી પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે ટેમ્પોચાલકની અટક કરી ગૌવંશને નવસારી પાંજરાપોળમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંસદા વિસ્તારમાંથી ગૌવંશ ભરેલો ટેમ્પો મોળાઆંબા ગામેથી ભરીને મહારાષ્ટ્ર તરફ નીકળવાનો હોવાની બાતમી ગૌરક્ષક મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને તેમની ટીમને મળી હતી. બાતમીના આધારે વોચ રાખતા મોળાઆંબાના પટેલ ફળિયા પાસે બાતમીવાળો પીકઅપ ટેમ્પો (નં. જીજે-15-એટી-0551) આવતા તેને ઊભો રખાવી તપાસ કરતા તેમાં પશુ ભરેલા હતા. તેઓએ વાંસદા પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસ સ્થળ ઉપર આવી ટેમ્પોચાલક ઉત્તમભાઈ ગાડર (રહે. જાગીરી, નિશાળ ફળિયા, તા. ધરમપુર) પાસે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર માંગતા તે નહીં હોય અટક કરી હતી. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ટૂંકા દોરડા વડે 12 પશુ (વાછરડા) બાંધેલા હતા, જે પૈકી ત્રણ વાછરડાં ટેમ્પોમાં મૃત્યુ પામ્યા હતા. ટેમ્પોમાં ઘાસચારા કે પાણીની કોઈ સગવડ પણ કરી ન હતી. પોલીસે ટેમ્પોમાંથી વાછરડાને નવસારી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. પોલીસે ગૌવંશ રૂ. 14500 અને ટેમ્પો રૂ. 1. 50 લાખ મળી કુલ કુલ 1. 69, 500નો મુદ્દામાલ કબજે કરી ગૌવંશ લેનાર સમાધાનભાઇ (રહે. સુરગાણા, મહારાષ્ટ્ર)ને ફરાર જાહેર કર્યો હતો.