ચૂંટણી નજીક હોય ત્યારે સત્તાપક્ષના IT Cellના મેસેજનું પૂર WhatsAppમાં વહેતું થાય છે. તેમાં મુખ્ય સૂર મુસ્લિમો પ્રત્યે નફરત ઊભી કરી સત્તાપક્ષને મત અપાવવાનો હોય છે. ગાંધી અને નેહરુ મુસ્લિમ હતા અને ગોડસેએ ગાંધીની હત્યા ન કરી હોત તો રામલાલનું નામ આજે રહીમ હોત અને કનૈયાનું નામ કુતુબુદ્દીન હોત ! આવા મેસેજ કુટુંબના 10 સભ્યો અને 10 મિત્રો સાથે શેર કરવા અપીલ કરવામાં આવે છે.
12 એપ્રિલ 2024ના રોજનો મેસેજ જૂઓ : “મતદાનના દિવસે પિકનિક પર જશો નહીં. ભાજપને મત આપ્યા બાદ જ્યાં જવું હેય ત્યાં જજો. ભાજપને લોકસભામાં 407 બેઠકો શામાટે જોઈએ છે? [1] વક્ફ બોર્ડને નાબૂદ કરવા. આ તો કલમ-370 કરતાં વધુ ખતરનાક છે ! [2] CAA/ NRC કાયદો લાગુ કરીને 10 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવા ! [3] લઘુમતી આયોગને નાબૂદ કરવા ! [4] પૂજાના સ્થળોનો કાયદો નાબૂદ કરવા. હજારો હિંદુ મંદિરો પરત કરવામાં આવશે, જેને મસ્જિદમાં રૂપાંતરિત કર્યા છે. [5] આતંકવાદની ફેક્ટરી, મદ્રેસા પર પ્રતિબંધ મૂકવા. યુનિફોર્મ એજ્યુકેશન એક્ટ લાવવા. [6] કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 600 લઘુમતી સંસ્થાઓ બંધ કરવા. [7] દરેક માટે 2 બાળકોનો કાયદો બનાવવા. [8] સમગ્ર ભારતમાં UCC-સમાન નાગરિક સંહિતા લાગુ કરવા. 4 નિકાહ અને 3 તલાક પર પ્રતિબંધ મૂકવા. [9] પથ્થરબાજો અને તોફાનીઓની 100% સંપત્તિ જપ્ત કરવા અને તેમને 10 વર્ષની સજા કરાવવા. [10] ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક-શક્તિ બનાવવા. IT, મેન્યુફેક્ચરિંગ, AI, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ 100% વધારવા.”
થોડાં મુદ્દાઓ : [1] વડાપ્રધાનને વક્ફ બોર્ડને નાબૂદ કરવા/ CAA/ NRC કાયદો લાગુ કરવા/ લઘુમતી આયોગને નાબૂદ કરવા/પૂજાના સ્થળોનો કાયદો નાબૂદ કરવા/ મદ્રેસા પર પ્રતિબંધ મૂકવા/ લઘુમતી સંસ્થાઓ બંધ કરવા/ 2 બાળકોનો કાયદો બનાવવા/ UCC-સમાન નાગરિક સંહિતા લાગુ કરવા/તોફાનીઓની 100% સંપત્તિ જપ્ત કરવા કોણ રોકે છે? જો વડાપ્રધાન કોર્પોરેટ મિત્રોને રાજીરાજી કરવા ‘ત્રણ કૃષિ કાનૂન’ બનાવી શકે તો આ બધું અટકાવી ન શકે? [2] વડાપ્રધાન જો આવા પગલાં ભરે તો ખાડીના દેશો સાથે સંબંધ બગડે કે નહીં? દુનિયામાં ભારતની છાપ અફધાનિસ્તાન જેવી બને કે નહીં? વિદેશ જાય ત્યારે બુદ્ધ/ ગાંધીજીને યાદ કરે છે, તેને બદલે હત્યારા ગોડસેને યાદ કરવો પડે કે નહીં? [3] બંધારણના મૂળભૂત ઢાંચામાં કોઈ સરકાર સુધારો કરે તો સુપ્રિમકોર્ટ તેને ગેરબંધારણીય ઠરાવે કે નહીં? જેમને બંધારણની સમજ નથી, તેવા લોકો જ આવા નફરતી મેસેજ ફોરવર્ડ કરતા હોય છે ! [4] ધાર્મિક નફરત સાથે વિકાસ શક્ય છે? લોકોને ભ્રમિત કરવા ઇરાદાપૂર્વક નફરત સાથે વિકાસનો ડોઝ આપે છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક-શક્તિ બનાવવાની વાત માત્ર ગાજર નથી? રુપિયાનું ભયંકર અવમૂલ્યન થયું છે અને થતું જાય છે ત્યારે કઈ રીતે ભારત આર્થિક શક્તિ બનશે? દેશનું દેવું વધી રહ્યું છે/ અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે/ 80 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે છે; આ હાલતમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક-શક્તિ બની શકે?
બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓને પંપાળીને અને લઘુમતી સમુદાય પ્રત્યે નફરત ફેલાવવાથી સત્તા મળે છે અને ટકે છે, આ ‘ગુજરાત મોડેલ’નું રહસ્ય છે ! નફરતના રસાયણનો નશો એવો છે કે બેરોજગારી/ મોંઘવારી/ આર્થિક બિમારી/ રુપિયાનું અવમૂલ્યન વગેરે પ્રશ્નો તુચ્છ લાગે છે ! આ નશો એવો છે કે લિટર પેટ્રોલનો ભાવ 500 રુપિયા થાય તો પણ ચિંતા થતી નથી ! 27 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાને અમદાવાદમાં અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે એક વૃધ્ધ વ્યક્તિએ કહ્યું હતું : ‘આ સાહેબ જ કરી શકે, બીજું કોઈ કરી શકે જ નહીં. આની સામે IIT/ IIM કંઈ જ નથી, એ બધું તો કચરો છે !’ આ એવો નશો છે કે કોંગ્રેસે બનાવેલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કચરો લાગે છે !rs [કાર્ટૂન સૌજન્ય : Mir Suhail તથા સતિષ આચાર્ય]