રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનના કથિત કસ્ટોડિયલ ડેથ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. દલિત યુવાનને ઢોર માર મારી મોત નિપજાવનાર પોલીસ કર્મચારી ASI અશ્વિન કાનગડની આખરે ધરપકડ કરવામાં આવી છે.
ગત 14 એપ્રિલે આંબેડકરનગરમાં રહેતા હમીર રાઠોડ નામના દલિત યુવકને માલવિયાનગર પોલીસ મથકના કર્મચારી ઉઠાવી ગયા હતા અને પોલીસ મથકમાં જ ઢોર માર મારતા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અને સારવાર દરમિયાન આ દલિત યુવકનું મોત થયું હતું.
મૃતકના પરિવારજનો તેમજ દલિત સમાજે જવાબદાર પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, ઉપરાંત હોસ્પિટલ ચોક ખાતે મૃતદેહને બરફની પ્લેટ પર રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને ખાતરી આપતાં પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.
ઘટના બાદ ASI અશ્વિન કાનગડ ફરાર હતો અને 6 દિવસ સુધી પોલીસને હાથ લાગ્યો ન હતો. અંતે 20 એપ્રિલે શુક્રવારે સાંજે અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી હતી.