દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની માહિતી દિલ્હી પોલીસે આપી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે 12.55 વાગ્યે પીસીઆર પર ધમકીભર્યો ફોન આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. કારણ કે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે. આરોપીનું નામ જય પ્રકાશ બતાવ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PCRમાં આવેલા કોલ પર જાનથી મારી નાખવાની ધમકી મળતાં દિલ્હી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપી સુધી પહોંચી ગઈ હતી. જોકે, તે આરોપી માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સોમવારે મધરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીને આ ધમકી આપવામાં આવી હતી. PCR ને 12:05 વાગ્યે કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે, તે અરવિંદ કેજરીવાલને મારી નાખશે. ફોન આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ફોન કરનારનું લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ થોડી જ વારમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસ આરોપી સુધી પહોંચી તો જાણવા મળ્યું કે તે માનસિક રીતે બીમાર હતો. 38 વર્ષીય વ્યક્તિની દિલ્હીના ગુલાબી બાગમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપીની માનસિક સ્થિતિને જોતા તેની ધરપકડ નથી કરી.