
મહેસાણા ડબગર સમાજ દ્વારા ચોપડા વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ડબગર સમાજ દ્વારા રવિવારે ગોવિંદ માધવ મંદિર ખાતે બાળકો માટે ચોપડા વિતરણ, ઇનામ વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન મહેસાણામાં રહેતા ડબગર સમાજના 50થી વધુ બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ચોપડા શ્રી શંકરલાલ ધનજીભાઈ ડબગર પરિવાર (વડનગરવાળા) તરફથી આપવામાં આવ્યા હતા.
તેમજ અભ્યાસમાં ઉત્તમ પરિણામ મેળવનારા ધોરણ-1થી લઈને કોલેજ કક્ષાના કુલ 15 વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ બાળકોને આશ્વાસન ઇનામો પણ આપવામાં આવ્યા હતા. ઇનામોનું પ્રાયોજકત્વ શ્રી હીરાબેન ગોરધનદાસ ડબગર પરિવાર, મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એન્કરિંગ કેયુલકુમાર વિનોદભાઈ ડબગર અને જતીનભાઈ મહેશભાઈ ડબગર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેસાણા ડબગર સમાજ યુવા કમિટીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
શિક્ષણને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે, તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી.



