પાલનપુર ખાતે કર્ણાવત કેમ્પસમાં ભૂતપૂર્વ ગુરુજનો અને વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
27 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ, પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવણી 25 ફેબ્રુઆરી એ કાર્યક્રમ અંતર્ગત દાતાશ્રીઓનું સન્માન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ભૂતપૂર્વ ગુરુજનોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 1970 થી 1983 સુધીના બેચના ગુરુજનો અને વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સેશન-1 માં વિદ્યાર્થીઓએ સાથે મળીને પોતાના ગુરુજનોની આરતી ઉતારીને ગુરુ પૂજન કર્યું હતું. તેમાં ક્લાસ વન, ક્લાસ ટુ બનેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે પછી સૌ સાથે મળી અને ભુલાઈ ગયેલી દેશી રમતોનો આનંદ ઉઠાવ્યો હતો. વિજેતાઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધરતીના અમૃત સમાન શેરડી રસનું રસપાન કરી, સૌ સેશન-2 માં જોડાયા હતા. તે પછી ગુરુજનોને, દાતાશ્રીઓને, ભૂતપૂર્વ કારોબારીશ્રીઓને મોમેન્ટ અને સાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત બનાવેલ ડાયરીનું દાતાશ્રીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિન્હ રૂપે સુવર્ણ જયંતીની ડાયરી અને કેલેન્ડર અર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે સૌ સાથે મળીને ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે પછી કાર્યક્રમને અંતિમ ઓપ આપતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના એ વર્ગખંડોમાં બેઠા હતા કે જ્યાંથી અગાઉ તેમણે અભ્યાસ કર્યો હતો. ત્યાં તેમના ભૂતપૂર્વ ગુરુજીએ તેમને સોટી વડે શિક્ષા આપીને જૂની યાદોને તાજી કરી હતી. સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા કેમ્પસના તમામ સ્ટાફ ગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.