
સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયાના રૂંઢ ગામેથી 5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો, દીપડાને સલામત સ્થળે મુક્ત કરાશે
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રૂંઢ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતા તેઓએ તપાસ કરીને પાંજરું ગોઠવ્યું હતું. જેમાં દીપડો પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં દીપડાની વસ્તી સતત વધી રહી છે. શેરડીના ખેતરો દિપડાના વસવાટ માટે આશ્રય સ્થાનો મનાય છે, જોકે, દિવાળી નજીકના સમયમાં ખેતરોમાં શેરડી કાપવાની સીઝન શરૂ થાય ત્યારે આશ્રય ગુમાવાવથી દિપડાઓ નજીકના ગામોમાં ઘુસી આવતા હોય છે. ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે પૂર્વ સરપંચ રાજુભાઈના ઘર નજીક દીપડો નજરે પડતા તેઓએ વન વિભાગને પાંચેક દિવસ પહેલા જાણ કરી હતી.
ઝઘડિયાના આરએફઓના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર રાજુભાઈ તેમજ તેઓની ટીમ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ રાત્રી દરમિયાન આશરે 5 વર્ષનો નર દિપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા નર દીપડાને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ દીપડાને ઝઘડિયા ફોરેસ્ટ ઓફિસે લાવી તબીબી તપાસ કરાવી સલામત સ્થળે છોડી મુકવામાં આવશે.




