
ડેડીયાપાડા – રાજપીપલા-મોવી રોડ પર આવેલા કરજણ નદી પરના બ્રીજનું રિપેરિંગની કામગીરી શરૂ.
તાહિર મેમણ – 14/07/2025 ડેડીયાપાડા – વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ તૂટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા નબળા કે ક્ષતિગ્રસ્ત થયેલા પુલોની સ્થળ પર જઈ જરૂરી તપાસ કરી ખરાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુના અનુસંધાને નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાને લઈને નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ-સ્ટેટ હાઈવે અને આંતરિક માર્ગો પર અવરજવર માટેના બ્રિજની જિલ્લા કલેક્ટર દ્વારા તબક્કાવાર ચકાસણી કરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લામાં આવેલા માર્ગો પરના જોખમી બ્રિજ અથવા ક્ષતિગ્રસ્ત હોય તેવા પુલો વાહન વ્યવહાર માટે યોગ્ય છે કે કેમ, તેનું સ્થળ નિરીક્ષણ કરવા સાથે કોઈ આકસ્મિક ઘટના ન ઘટે તે માટે સલામતીના કારણોસર આજે તા.૧૪/૦૭/૨૦૨૫ને સોમવારના રોજ સવારે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ મોદી, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર સહિતની ટીમ દ્વારા રાજપીપલા-મોવી રોડ પર કરજણ નદીના બ્રીજની સ્થળ મુલાકાત કરી કરજણ બ્રિજ નીચેના ભાગે તેમજ પુલ ઉપર અને સાઈડમાં ઉતરીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને દુરવાણીથી જરૂરી સૂચના આપી હતી સાથે કાર્યપાલક ઇજનેરશ્રીને જરૂરી સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બ્રિજ વર્ષો જૂનો હોય રેલિંગ-પેરાફિટ તથા નીચેના ભાગમાં થોડી ક્ષતિઓ જોવા મળી હતી. જેથી બ્રીજનો સ્ટેબિલિટી રિપોર્ટ જોઈને ભારે વાહનો પર નિયંત્રણ કરવા સૂચના આપી હતી. યોગ્ય ડાયવર્ઝન આપી લોકોને આગોતરી જાણ કરવા પણ જણાવ્યું હતું.
. આ વખતે સિમેન્ટ કોંક્રિટથી ખાડા પુરવામાં આવી રહ્યા છે. જેથી ખાડાઓ પુનઃ ન પડે અને વરસાદી સિઝનમાં ટકી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



