
તા.૦૪.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડાના આઝાદ ચોક વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ
ગરબાડા નગરના આઝાદ ચોક વિસ્તારમાં છત્રછાયા હોસ્પિટલની બાજુમાં આવેલ એક મકાનમાં અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ મકાનના સભ્યો ઘર બંધ કરી મંદિર ગયા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.આગ લાગ્યાની જાણ થતાં આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ વિકરાળ બનતા પ્રયાસો નિષ્ફળ રહ્યાં. ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસ મથકના પીઆઈ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભીષણ આગના કારણે મકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની તીવ્રતાને કારણે બાજુમાં આવેલ છત્રછાયા હોસ્પિટલના દર્દીઓને સલામતીના પગલે બહાર ખસેડવામાં આવ્યા હતા.ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ભારે નુકસાન થવાની પ્રાથમિક માહિતી મળી છે. આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે.




