આણંદ નેચરલ ફાર્મિંગ અંતર્ગત પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આણંદ નેચરલ ફાર્મિંગ અંતર્ગત પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તાહિર મેમણ – આણંદ – 22-04-2025 -આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 186 કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન જોડાયા છે. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. એમ.કે.ઝાલાએ પ્રાકૃતિક કૃષિની વર્તમાન જરૂરિયાત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ રસાયણમુક્ત અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.
તાલીમ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે. આમાં પરંપરાગત ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ જવાની પ્રક્રિયા, વિવિધ પાક પદ્ધતિઓ, પશુપાલન સાથે સંકલન, જીવાત અને રોગ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ડૉ. ઝાલાએ કોમ્યુનિટી રિસોર્સ પર્સનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રાકૃતિક કૃષિના વિકાસમાં યોગદાન આપવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડૉ.એન.આઇ.શાહ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જી.સી.ભાલોડીયા અને એગ્રોનોમી વિભાગના વડા ડૉ.વી.જે.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.