નવસારી મનપાના વોર્ડ-૯માં નાગરિકલક્ષી કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વિજલપોર વિભાગીય કચેરી ખાતે વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભો અપાયા
નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી તથા સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર આજ રોજ વોર્ડ ક્રમાંક-૦૯ના વિજલપોર વિભાગીય કચેરી ખાતે નાગરિકલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકો અને લાભાર્થીઓ જોડાયા હતા.
કેમ્પ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને સામાજિક સુરક્ષા સહિતની વિવિધ યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાઓના લાભ મેળવવા માટેની પ્રક્રિયા તેમજ જરૂરી દસ્તાવેજો અંગે માહિતી આપવામાં આવી હતી. અનેક નાગરિકોએ સ્થળ પર જ માર્ગદર્શન મેળવી વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.
નવસારી મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓનો મળવાપાત્ર લાભ કોઈપણ પાત્ર નાગરિકથી વંચિત ન રહે અને મહાનગરપાલિકા વિસ્તારમાં યોજનાઓની ૧૦૦ ટકા પરિપૂર્ણતા હાંસલ કરી શકાય.
આ જ હેતુસર આગામી દિવસોમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય વોર્ડોમાં પણ ‘સેવા સેતુ’ મોડેલની તર્જ પર વિશેષ ઝુંબેશરૂપે નાગરિકલક્ષી કેમ્પો યોજવામાં આવશે. આ કેમ્પો થકી નાગરિકોને તેમના વોર્ડ વિસ્તારમાં જ વિવિધ યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


