શ્રદ્ધાનું પ્રતીક: કાલોલ નાં દ્વારકેશ નગરમાં 4 દાયકાથી પુનમભાઈ વરિયાના ઘરે સ્થાપિત છે શીતળા માતાજીની માટીની મૂર્તિ.

તારીખ ૧૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પવિત્ર શ્રાવણ માસના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે શીતળા સાતમના પવિત્ર પર્વે કાલોલ સ્થિત દ્વારકેશ નગર સોસાયટી ખાતે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. દ્વારકેશ નગરમાં રહેતા પુનમભાઈ વરિયાના ઘરે છેલ્લા ૪૦ વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ શીતળા માતાજીની માટીની મૂર્તિ બનાવીને વિધિવત સ્થાપના અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.માતાજીની માટીની મૂર્તિના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે વહેલી સવારથી જ દ્વારકેશ નગર સહિત આસપાસની વિવિધ સોસાયટીઓના રહીશો અને માઈભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંપરાગત રીતે મહિલાઓએ ઠંડા પાણીથી સ્નાન કરાવી, માતાજીને કંકુ, અબીલ-ગુલાલ, બાજરાની કુલેર અને શ્રીફળ અર્પણ કરી પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય તથા સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પુનમભાઈ વરિયાના પરિવાર દ્વારા છેલ્લા ચાર દાયકાથી તન-મન-ધનથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. દર વર્ષે સાતમના દિવસે અહીં મેળાવડા જેવો માહોલ સર્જાય છે અને સમગ્ર વિસ્તાર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠે છે.








