પોષણ પખવાડિયું 2025: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને પોષણ અંગે જનજાગૃતિ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં પોષણ પખવાડિયું 2025 ની ઉજવણીના ભાગરૂપે પોષણ અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આઈસીડીએસ યોજના અંતર્ગત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિરમગામ, દસ્ક્રોઈ અને ધોળકા તાલુકાના સિંગરવા, મિરોલી, અસલાલી, કરકથલ અને કોઠ ગામમાં આંગણવાડી કાર્યકરો દ્વારા લાભાર્થીઓ—વિશેષ કરીને બાળકો અને સગર્ભા માતાઓ—ને લક્ષ્યાંક બનાવી પોષણ સાથે આરોગ્ય જાળવી રાખવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન પેકેટમાંથી વાનગીઓ બનાવી તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી. તેમાંથી મળતાં પોષક તત્વો વિશે વિસ્તૃત માહિતી આપી શકલતાઓને સમજૂતી આપવામાં આવી કે પોષણશીલ આહાર કેવી રીતે ઘરમાં સરળતાથી અપનાવી શકાય.
પ્રસંગે વરસાદી પાણીના સંગ્રહ, પીવાના પાણીની સ્વચ્છતા, શૌચાલયના ઉપયોગ અને સારી ટેવો વિશે માહિતી આપી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીઓની ગૃહ મુલાકાતમાં તેમની આરોગ્ય ચકાસણી સાથે હીમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા માટેના ઉપાયો અને મિલેટ આધારિત પોષણયુક્ત વાનગીઓ વિશે પણ સમજ અપાઈ.
આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પોષણ વિશેની સમજ વધારવો અને આવનારી પેઢીને તંદુરસ્ત બનાવવાની દિશામાં જનજાગૃતિ ફેલાવવી રહ્યો હતો.