દેશમાં શક્તિ સ્વરુપા દેવીની આરાધના ઉપાસના થાય છે, તો બીજી તરફ દીકરીઓની સાથે અત્યાચાર પણ થાય છે. રમવા-ભણવાની ઉંમરમાં દિકરીને દુલ્હન બનાવવામાં આવે છે. આ સામાજિક કુરીતિ હોવાની સાથે ગુનો પણ બને છે. તેમ છતાં દેશમાં અલગ અલગ જગ્યાએ બાળ વિવાહના કિસ્સાઓ સામે આવતા રહે છે.
ઝારખંડમાંથી બાલવિવાહની ઘટના પ્રકાશમાં આવી છે. ઝારખંડથી બિહારના ભાગલપુર પહોંચેલી એક યુવતી 22 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પોલીસ સ્ટેશનમાં યુવતીએ કહ્યું કે, તેના પિતાએ તેના લગ્ન દબાણપૂર્વક 52 વર્ષના પુરુષ સાથે કરાવવામાં આવ્યા છે. યુવતીની ઉમર 16 વર્ષની છે. જો કે, અન્ય રાજ્યનો મામલો હોવાથી ભાગલપુરના એસએસપીએ કહ્યું કે, આ કેસમાં ઝીરો એફઆઈઆર નોંધવામાં આવશે અને કાર્યવાહી માટે ઝારખંડ પોલીસને મોકલવામાં આવશે.
પીડિતાએ જણાવ્યું કે, તે ગોડ્ડાના પાથરગામાની રહેવાસી છે. જો તેની મદદ નહીં કરવામાં આવે તો તે મરી જશે. મળતી માહિતી પ્રમાણે મંગળવારે પીડિતાએ પત્રકારોને જણાવ્યું કે, તેના લગ્ન 28 જુલાઈના રોજ દુમકાના રહેવાસી સુનીલ હેમરામ સાથે થયા હતા.લગ્ન બાદ પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે તેમજ પતિ પિસ્તોલનો ડર બતાવીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે.
કોઈક રીતે તે ભાગલપુરમાં તેની બહેનના ઘરે પહોંચી ગઇ હતી. પીડિતાએ 2007માં મેટ્રિક પાસ કર્યું છે.
પીડિતાએ કહ્યું કે, તે તેની મોટી બહેન પાસે પહોંચી અને મદદ માટે વિનંતી કરી હતી. આ પછી, મહિલા તેની મોટી બહેન સાથે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ મદદ કરવામાં આવી ન હતી.
જે બાદ યુવતી ઈશાકચક પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ ત્યાં પણ તેની અરજી સ્વીકારવામાં આવી નહીં. અંતે તે ડીઆઈજી ઓફિસ પહોંચી પરંતુ તેની અરજી સ્વીકારવામાં આવી ન હતી. આખરે યુવતીએ પોતાની જિંદગીનો અંત લાવવા માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો, જેમાં તેણે પોતાની આખી સમસ્યા જણાવી છે અને કહ્યું છે કે, મારી ભણવુ છે. મારી મદદ ના કરવામાં આવી તો હું મરી જઇશ.
બીજી તરફ ભાગલપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક આનંદ કુમારે ફોન પર જણાવ્યું કે, આ મામલો સંજ્ઞાન હેઠળ છે. જો છોકરી સગીર છે, તો તેના નિવેદન પર, અહીંની પોલીસ ઝીરો એફઆઈઆર નોંધશે અને કાર્યવાહી માટે ઝારખંડ પોલીસને મોકલશે.