ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

તાહિર મેમણ – આણંદ -:12/08/2026 – ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં અત્યારથી જ રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ દેશભક્તિના જુવાળ સાથે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ગામેગામ રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત થઈ છે. આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી આ યાત્રાઓમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

 

તારાપુર તાલુકા મથકે યોજાયેલી તિરંગા યાત્રાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ખંભાતના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુતની પ્રેરક આગેવાની હેઠળ આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહીને યાત્રામાં જોડાયા હતા અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. તારાપુર નગરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં આ યાત્રા ફરી હતી, જેમાં સ્થાનિક રહિશોએ રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

 

આણંદ તાલુકાની તિરંગા યાત્રાનું આયોજન ઐતિહાસિક સારસા મુકામે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આણંદ ગ્રામ્યના મામલતદાર શ્રી વિજયરાજ સિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સારસાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફરેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં ત્રિરંગા સાથે નીકળેલા લોકોના કારણે સારસાની ગલીઓ રાષ્ટ્રભક્તિના સમીકરણોમાં પરિવર્તિત થઈ ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આ આયોજનને ગ્રામ્ય સ્તરે અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

 

સમગ્ર જિલ્લામાં યોજાઈ રહેલી આ તિરંગા યાત્રાઓમાં યુવા શક્તિનો વિશેષ પ્રભાવ જોવા મળ્યો હતો. વિવિધ શાળાઓ અને કોલેજોના એનસીસી (NCC) કેડેટ્સ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામીણ જનતા આ યાત્રામાં જોડાઈ હતી. આ યાત્રાઓ માત્ર એક કાર્યક્રમ બની ન રહેતા, લોકોમાં દેશપ્રેમ જગાડવાનું સબળ માધ્યમ બની છે.

 

આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાઈ રહેલા તિરંગા યાત્રાના વિવિધ કાર્યક્રમોને પરિણામે સમગ્ર જિલ્લો તિરંગા મય બની રહ્યો છે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમોએ ગામેગામ દેશભક્તિનું એક અનોખું અને પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કર્યું છે. આગામી ૧૫મી ઓગસ્ટ સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે વિવિધ દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્ય ભાવના વધુ સુદ્રઢ બની રહી છે.

Back to top button
error: Content is protected !!