
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જીલ્લો યોગમય બન્યો,શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શામળિયા ભગવાનના પવિત્ર મંદિર પરિસરમાં ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી. મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસનું વ્યાપક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડાએ યોગ કરી જણાવ્યું હતું કે
યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ મન, શરીર અને આત્માના સંતુલનનો અમૂલ્ય વારસો છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં યોગનો પ્રસાર થઈ રહ્યો છે અને અરવલ્લી જીલ્લો પણ આ અભિયાનમાં પોતાનો પૂર્ણ યોગદાન આપી રહ્યો છે. યોગના દૈનિક અભ્યાસથી આરોગ્ય, તનાવમુક્તિ અને આધ્યાત્મિક વિકાસના અનેક લાભો વિશે વિસ્તારથી વાત કરી અને જનતાને યોગને જીવનનો અવિચ્છેદ્ય અંગ બનાવવા અપીલ કરી હતી
શામળાજી મંદિર પરિસરમાં વિવિધ યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાનના સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિક્ષકો અને નિષ્ણાતો દ્વારા જનસાધારણને યોગની સરળ અને અસરકારક પદ્ધતિઓ દર્શાવવામાં આવી. આ પ્રસંગે શામળાજી મંદિર પરિસરમાં યોગના મહત્વ પર આધારિત પોસ્ટર્સ અને બેનરો દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.યોગ દિવસે શામળાજી મંદિર પરિસરમાં અરવલ્લી જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. સૌએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો અને યોગને પ્રોત્સાહન આપવાના સંકલ્પ લીધો હતો





