
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ગંદકીથી ઉભરાતું મેઘરજ બસ સ્ટેન્ડ, શૌચાલયનું ગંદુ પાણી બહાર વહી જતાં દુર્ગંધથી મુસાફરો પરેશાન
થોડા દિવસો અગાઉ જ મેઘરજ શહેરમાં નેતાઓ, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઝાડું હાથમાં લઈને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ મેઘરજ બસ સ્ટેન્ડમાંથી સામે આવેલી તસવીરોએ સ્વચ્છતા અભિયાનની વાસ્તવિકતા પર સવાલો ઉભા કર્યા છે

મેઘરજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અસહ્ય દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. જેને પગલે કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે બસ સ્ટેન્ડ ખાતે આવેલા જાહેર શૌચાલયની પાછળની બાજુ આવેલી નાની ટાંકીમાંથી ગંદુ પાણી બહાર વહી રહ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.
બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોજ મોટી સંખ્યામાં મુસાફરો તેમજ બસોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં શૌચાલયનું ગંદુ પાણી બહાર વહી જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ અને ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે જવાબદાર તંત્ર બસ સ્ટેન્ડની સ્વચ્છતા અને જાળવણીને લઈને બેદરકાર બન્યું છે. મુસાફરો અને સ્થાનિકોએ તાત્કાલિક ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરી ટાંકીની મરામત કરવામાં આવે તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.





