ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળા ને રૂ.૧૦,૦૦૦/- ની રકમના ખોળનું દાન મળ્યું દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાંસ ચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપવા અપીલ…એચ.એફ.રાદડિયા (બાયોલોજીસ્ટશ્રી મહાનગર પાલિકા,જુનાગઢ) મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઈસમો પાસેથી અનધિકૃત ઘાસ ચારો લઇ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે.તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે. મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા,નાયબ કમિશનરશ્રી ડી.જે,જાડેજા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.જેથી જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખતા પકડાશે તો મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની તમામ શહેરીજનોએ નોંધ લેવી. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગર પાલિકા,જુનાગઢ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે.જેમાં તા:૨૦/૧૧/૨૦૨૪ના રોજ ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ ખાતે આવેલ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દર્શન હરસુખભાઈ રાદડિયાના સ્મરણાર્થે તેમના પિતા બાયોલોજીસ્ટશ્રી એચ.એફ.રાદડિયા અને તેમના માતૃશ્રી સરોજબેન રાદડિયા તથા તેમના ધર્મપત્નીશ્રી નીમાબેન રાદડિયા અને તેઓના પુત્ર દૈવિક રાદડિયા દ્વારા રૂ.૧૦,૦૦૦/- ના ખોળનું દાન કરવામાં આવ્યું હતું.આ રીતે તેમના દ્વારા સૌ શહેરીજનોને અપીલ કરેલ છે કે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપી પુણ્યનું ભાથું બાંધીએ.મહાનગર પાલિકા,જુનાગઢની કાર્યવાહી શહેરીજનોના લોકહિતમાં હોય તેથી જુનાગઢ શહેરના શહેરીજનો પૈકી જે લોકો ઘાસ ચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર,જોશીપુરા ઝોનલ ઓફીસ(સોરઠ ભવન),ટીંબાવાડી ઝોનલ ઓફીસ,દોલતપરા ઝોનલ ઓફીસ,શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.જે રકમનો ગૌશાળા ખાતે ઘાસ ચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે.જેની શહેરીજનોને પહોંચ આપવામાં આવશે.તેમજ મહાનગર પાલિકા,જૂનાગઢની(૧.) ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા (૨)સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈને પણ જાતે ઘાસ ચારાનું દાન કરી શકે છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ