BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વાલી-શિક્ષક પરિસંવાદ” કાર્યક્રમ યોજાયો

૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વાલી-શિક્ષક પરિસંવાદ” કાર્યક્રમ યોજાયો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વાલી-શિક્ષક પરિસંવાદ” કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમને શોભાવવા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિના મંત્રીશ્રી વી.જી.ચૌધરી, કેળવણી મંડળના હોદ્દેદારશ્રી ખુમજીભાઈ ચૌધરી અને નારાયણભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં પ્રમુખશ્રી કે.કે.ચૌધરી એ “કેળવે તે કેળવણી” તથા “શિક્ષણ એટલે શિક્ષકનો વિદ્યાર્થી સાથે આત્મીય સંબંધ” વિશે તથા મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરીએ “કેળવણી થકી વિદ્યાર્થીનું સામાજિક ઘડતર” વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરી તથા મંત્રીશ્રી વી.જી.ચૌધરી એ “શિક્ષણ એટલે જીવન સમૃધ્ધિ અને વ્યક્તિત્વ વિકાસની વિપુલ તકો” વિશે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ “શિક્ષણ થકી માનવીય મૂલ્યોનું જતન કરી પારિવારિક ભાવના વિકસાવવી” એ વિશે વાલીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. તથા શિક્ષકશ્રી એમ.ડી.ચૌધરીએ શિસ્તના મહત્વ વિશે વિચારો પ્રકટ કરી વિદ્યાર્થીઓમાં સ્વયં શિસ્ત કેળવાય તે માટે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન ચૌધરી એ “પહેલું સુખ જાતે નર્યા” એ ઉક્તિને સાર્થક કરવા વિદ્યાર્થીઓની આરોગ્યપ્રદ ટેવો, પોષણયુક્ત આહાર તથા કુપોષણથી વિદ્યાર્થીઓમાં જોવા મળતી કમજોરી વિશે વાલીઓને જાગૃત કર્યા હતા.આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહાયોથી “વાલી-શિક્ષક પરિસંવાદ” કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું. અંતમાં સૌ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!