મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ વિજયા દશમી પર્વ શસ્ત્ર પૂજન કર્યું

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજાએ વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજન કરી પવિત્ર શમી વૃક્ષનું વાવેતર કર્યું
અમીન કોઠારી મહીસાગર
વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન કરવાનું અનેરું મહત્વ છે. આ પરંપરાને જાળવી રાખતા પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે વિજયાદશમી પર્વ પર શસ્ત્રોની પૂજા કરે છે અને અસત્ય પર સત્યના વિજયની કામના કરવામાં આવે છે ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ તાલીમ ભવન ખાતે શાસ્ત્રોકત રીતે શસ્ત્રપૂજન કરી સૌને વિજયાદશમી પર્વની શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પોલીસ વડાના હસ્તે દશેરાના દિવસે શમી વૃક્ષના પૂજનનું વિશેષ મહત્વ છે તે પવિત્ર શમી વૃક્ષનું વાવેતર કર્યું હતું સાથે સાથે અશ્વનું પણ પૂજન કર્યું હતું.
આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યુ હતું કે અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક તરીકે વિજયાદશમી તહેવારને ઉજવવામાં આવે છે. સતત ૯ દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ આ જ દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો પણ અંત કર્યો હતો એટલે જ આજના દિવસને અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિજયા દશમીના પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરવાના મહિમાને જાળવી રાખતા પોલીસ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા અને સૌના મંગલની કામના સાથે વિધિ વિધાન પૂર્વક શસ્ત્રપૂજન કરે છે.
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આયોજિત શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં જિલ્લાના ડીવાયએસપી જે જી ચાવડા, ડીવાયએસપી કે બી વસાવા, વિવિધ શાખાના અને પોલીસ મથકના પી આઈઓ, પી એસ આઈઓ સહિત પોલીસ સ્ટાફે જોડાઈને શસ્ત્રપૂજન કર્યું હતું.
				




