રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશજીએ પરિવાર સાથે માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું; વહીવટી તંત્ર દ્વારા કરાયું સ્વાગત

23 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશજી આજે પોતાના પરિવારના સભ્યો સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે પધાર્યા હતા. શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચીને તેમણે પરિવારજનો સાથે જગત જનની માઁ અંબાના દર્શન કર્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજા-અર્ચના તથા આરતી કરીને પરમ ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મુલાકાત અંતર્ગત તેમણે માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આ મુલાકાતને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ તમામ જરૂરી અને સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. શ્રી હરિવંશજીના આગમન સમયે મંદિર પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરના ઇતિહાસ તેમજ ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. વીઆઈપી મૂવમેન્ટ હોવા છતાં સામાન્ય શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા પણ સરાહનીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.





