RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે

તા.૨૨/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ ગ્રીડમાં વોલ્ટેજ વધઘટ થવાની સમસ્યા દૂર કરે છે

GETCO ભારતમાં STATCOM ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી છે

STATCOMથી કૃષિ ક્ષેત્રમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત થયા

Rajkot: એક સમયે વીજ અછત ધરાવતું ગુજરાત રાજ્ય આજે દેશમાં ઊર્જા ક્ષેત્રે અગ્રેસર અને આત્મનિર્ભર રાજ્ય બન્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા, જેના પરિણામે રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત થયો. તેમના નેતૃત્વમાં જ ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બને એ માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી હતી, જે અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બની. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વીજ ક્ષેત્રમાં નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગીર સોમનાથના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન STATCOM સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આવનારા સમયમાં રાજ્યના અન્ય 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનો ખાતે પણ STATCOM સ્થાપિત કરવાની યોજના છે.

ગીર સોમનાથ જિલ્લામાં છે ગુજરાતનું પ્રથમ STATCOM

ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા અદ્યતન સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર (STATCOM) સ્થાપિત કરવામાં આવ્યું છે. ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે.

5 માર્ચ 2019ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે ±120 MVAR ક્ષમતા ધરાવતું STATCOM કાર્યરત થયું હતું. આ સાથે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ભારતમાં STATCOM ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની ગઈ.

STATCOMની જરૂરિયાત શા માટે ઊભી થઈ?

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ વધુ રહે છે, જેથી ગ્રીડમાં વોલ્ટેજની સ્થિરતા અને વીજળીની ગુણવત્તા જાળવવી પડકારજનક બની જાય છે. પરંપરાગત કેપેસિટર અને રિએક્ટર જેવી વ્યવસ્થાઓ સ્થિર સપોર્ટ આપે છે, પરંતુ માંગમાં થતા ઉતાર-ચઢાવ સામે એક વિશેષ સિસ્ટમની આવશ્યકતા હતી. ટીંબડી સબસ્ટેશનમાં સિંગલ-સર્કિટ લિંક અને નજીકમાં વીજ ઉત્પાદનના સ્ત્રોતના અભાવે વોલ્ટેજમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હતો. ખાસ કરીને, કૃષિમાં વીજળીની વધુ માંગ હોવાના કારણે વોલ્ટેજનું સ્તર 190 kV થી 245 kV વચ્ચે રહેતું હતું. પીક સમયમાં વોલ્ટેજ 190–200 kV સુધી ઘટી જતો અને ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે માંગ ઓછી હોય, ત્યારે 235–245 kV સુધી વધી જતો. આ પરિસ્થિતિમાં વોલ્ટેજ સ્થિર રાખવા માટે એવી ડાયનેમિક સિસ્ટમ શરૂ કરવામાં આવી, જે વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે.

STATCOM ગ્રીડની સ્થિતિ પર સતત નજર રાખીને તાત્કાલિક પ્રતિસાદ આપે છે. તે જરૂરી મુજબ રિએક્ટિવ પાવર આપીને અથવા શોષીને વોલ્ટેજ સ્થિર રાખે છે. રિયલ-ટાઇમમાં કાર્ય કરતી આ સિસ્ટમ અલગ-અલગ લોડ પર પણ ગ્રીડને સંતુલિત રાખે છે, પાવર ફેક્ટર નિયંત્રિત કરે છે, ઓવર-વોલ્ટેજ ઘટાડે છે અને વોલ્ટેજ અચાનક ઘટી જવાની સ્થિતિ અટકાવે છે. આથી ટ્રાન્સમિશન સિસ્ટમ પરનો ભાર ઘટ્યો છે, વીજ નુકસાન ઓછું થયું છે અને સાધનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ છે. આ સિસ્ટમથી ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોને લાભ થયો છે અને ગ્રામ્ય તથા ઔદ્યોગિક બંને પ્રકારની જરૂરિયાતોને વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહ્યો છે.

ટીંબડી ખાતે મળેલી સફળતા બાદ ગુજરાત સરકારે અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ પણ STATCOM સ્થાપિત કરવાની યોજના બનાવી છે. આ હેઠળ હાલના છ 220 kV સબસ્ટેશન—થરાદ, દિયોદર, સાગપરા, ખેરાલુ, કુકમા અને ધ્રાંગધ્રા—અને આવનારા 400 kV ધોલેરા-2 સબસ્ટેશન ખાતે ±125 MVAR ક્ષમતાવાળા STATCOM સ્થાપવાનો પ્રસ્તાવ છે. આ પહેલ રાજ્યના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે અને દરેક માટે ગુણવત્તાસભર તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે.

Back to top button
error: Content is protected !!