ડીસા બનશે કળા અને સંસ્કૃતિનું નવું કેન્દ્ર: રૂા.૨૧ કરોડના ખર્ચે ‘અર્બન હાટ’નું ખાતમુહૂર્ત

29 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ડીસા બનશે કળા અને સંસ્કૃતિનું નવું કેન્દ્ર: રૂા.૨૧ કરોડના ખર્ચે ‘અર્બન હાટ’નું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી અને મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર.બનાસકાંઠાના હસ્તકલા કારીગરોને મળશે વૈશ્વિક પ્લેટફોર્મ: ડીસામાં આકાર લેશે ભવ્ય ‘અર્બન હાટ’પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી વસ્તુઓ અપનાવવાના’ સપનાને સાકાર કરવાની દિશામાં અર્બન હાટ એક મહત્વપૂર્ણ કદમ:- મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર પરંપરાગત હસ્તકલાઓ જેવી કે પેચવર્ક, પટોળા વણાટ, ટાંગલીયા વણાટ, માતાની પછેડી, શાલ, મોતીકામ, ભરતકામ અને ટેરાકોટાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે આ અર્બન હાટ:- મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વ્યાપારી મથક અને અંદાજે ૩ લાખથી વધુ વસ્તી ધરાવતું ડીસા શહેર હવે માત્ર વેપાર પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તે કળા અને સંસ્કૃતિનું પણ એક મોટું કેન્દ્ર બનશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના ‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા માટે ડીસા ખાતે ભવ્ય ‘અર્બન હાટ’ની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી તથા ખાદી, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે ડીસા ખાતેથી આ ભવ્ય ‘અર્બન હાટ’નું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીઓએ નાગરિકો સાથે મળીને વિધિવત રીતે આ શુભ કાર્ય સંપન્ન કર્યું હતું અને ટૂંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ કરીને તેને જનતા માટે ખુલ્લું મૂકવાની કટિબદ્ધતા દર્શાવી હતી.ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, આશરે ₹૨૧ કરોડના ખર્ચે બનવા જઈ રહેલું આ નવીનીકરણવાળું અર્બન હાટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી વસ્તુઓ અપનાવવાના’ સપનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાનિક વિસ્તારના કલાકારો સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ એક જ જગ્યાએ કરી શકશે, જેનાથી તેમને રોજગારીની શ્રેષ્ઠ તકો મળશે. તેમણે જણાવ્યું કે, આ હાટના માધ્યમથી મોટી સંખ્યામાં લોકો જોડાશે, જેનાથી સ્થાનિક લોકોને આર્થિક રીતે પગભર થવામાં મોટી મદદ મળશે અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. આ અર્બન હાટ બનાસકાંઠા જિલ્લાની પ્રસિદ્ધ અને પરંપરાગત હસ્તકલાઓ જેવી કે પેચવર્ક, પટોળા વણાટ, ટાંગલીયા વણાટ, માતાની પછેડી, શાલ, મોતીકામ, ભરતકામ અને ટેરાકોટાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે અને તેમને પોતાનું હકનું બજાર પૂરું પાડશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, ગ્રામીણ કલાકારોની વર્ષોની તપસ્યા અને અજોડ કૌશલ્યને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપતી આવી સુંદર વ્યવસ્થા ઊભી કરવા બદલ મંત્રીશ્રીઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા અંદાજે રૂા. ૨૧.૦૦ કરોડના ખર્ચે આ અત્યાધુનિક પ્રોજેક્ટનું નિર્માણ હાથ ધરવામાં આવશે, જે સમગ્ર વિસ્તાર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.ડીસા શહેર ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે, જ્યાં સ્થાનિક જનતા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે આવે છે. આ વધતી માંગ અને બજારની ક્ષમતાને ધ્યાનમાં રાખીને હસ્તકલાના કારીગરોને કાયમી પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અહીં અર્બન હાટની આવશ્યકતા ઊભી થઈ હતી. આ આધુનિક હાટમાં કારીગરો અને મુલાકાતીઓની સગવડતા માટે પાકા સ્ટોલ, સ્વાદિષ્ટ વાનગીઓ માટે ફૂડ સ્ટોલ, મલ્ટીપર્પઝ હોલ, રહેવા માટે ડોરમેટરી અને વિશાળ પાર્કિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.










