નવસારી: આજે વિશ્વ પર્યાવરણ દિવસ:વનકવચ પદ્ધતિથી તૈયાર વન 10 ગણા ઝડપથી વિકસે છે. RFO શ્રી હિના પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*૨૩ પ્રકારના પતંગિયા અને ૩૬ પ્રકારના પંખીઓનું ઘર એટલે નવસારી જિલ્લાના સીમળગામનું વનકવચ: વનકવચમાં વૈવિધ્ય સભર જીવસૃષ્ટિ પાંગરી રહી*


*વન કવચ પદ્ધતિથી તૈયાર કરેલા વન માત્ર ૦૧ કે ૦૨ વર્ષમાં જ ગાઢ વન ઉભું કરી શકાય છે.- સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી હિના પટેલ*
નવસારી,તા.૦૪: છેલ્લા ઘણા વર્ષોમાં નવસારી જિલ્લા સહિત રાજ્યના વન વિસ્તારમાં સામાજિક વનીકરણ વાવેતર દ્વારા સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ વન વિસ્તાર વધારવા અને ટકાવી રાખવા નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણથી લઇ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
નવસારી જિલ્લામાં આવેલ જાનકીવન, આરક સિસોદ્રા, સીમળગામ તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઇવે પાસે વનકવચ વિકસાવવામાં આવ્યા છે. જે પડતર જમીનને ગાઢ વનમાં પરિવર્તિત કરવામાં અને જૈવ વિવિધતા વધારવામાં મહત્વની ભાગીદારી નોંધાવી રહી છે.
નવસારી જિલ્લાના સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી હિના પટેલે નવસારી જિલ્લામાં વનકવચ પધ્ધતિથી તૈયાર થતા વનો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દ્વારા ઝડપથી વન વિકસાવવાની પધ્ધતિ વિકસાવવામાં આવી છે જેનું નામ છે વન કવચ. નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વનકવચ પધ્ધતિથી વનો ઉભા કરવામાં આવ્યા છે. જે પર્યાવરણ, પશુ પક્ષીઓ અને વન્યસંપદા માટે ફાયદાકારક સાબીત થશે. જેમાં નવસારી જિલ્લામાં જાનકીવન ખાતે, આરક સિસોદ્રા ખાતે, સીમળગામ ખાતે તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઇવે પાસે વનકવચ વિકસાવવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૦૪ જગ્યા ઉપર ૬.૫ હેક્ટર વિસ્તારમાં વનકવચ પદ્ધતિથી ૬૫ હજાર દેશી રોપાઓના વાવેતર કરાયા છે. ચાલુ વર્ષે ૧૪ હેકટરના વિસ્તારમાં નવી ૧૧ જેટલી જગ્યાઓ ઉપર વન કવચના માધ્યમથી ૧ લાખ ૪૦ હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે.
ગયા વર્ષે સુપા રેન્જના સીમળગામમાં ૦૪ હેક્ટર જમીનમાં ૪૦ હજાર રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૭ પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજનબધ્ધ વાવેતર કરવામાં આવ્યુ છે. આજે સિમળગામમા ઉભા કરવામાં આવેલ વન કવચના રોપાને જરૂરી માવજત કરતા હયાત રોપાની ઉંચાઇ વધીને ૧૦થી ૧૫ ફુટ થઇ ગઇ છે. આટલુ જ નહિં અહિં જૈવ વિવિધતા પણ ખુબ જોવા મળી રહી છે. જેમાં ૨૩ પ્રકારના પતંગિયા અને ૩૬ પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાના ઘર સ્વરૂપે અપનાવ્યું છે. ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી રહ્યા છે.
આમ, વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો ૩૦ ગણા ગાઢ તથા ૧૦ ગણા ઝડપથી વિકસે છે આ પધ્ધતિથી માત્ર ૦૧ કે ૦૨ વર્ષમાં જ ગાઢ વન ઉભું કરી જૈવ વિવિધતાનો પણ સારો વિકાસ કરી શકાય છે.
*બોક્ષ-૧*
*શુ છે વનકવચ?*
વનકવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં રહેલી પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે તથા આવી પડતર જમીનમાં ઝડપથી નાનું વન નિર્માણ કરવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના ૨ વર્ષ નિયમિત તેની સારસંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે.
*વૃક્ષારોપણની પધ્ધતિ*
વૃક્ષારોપણની પધ્ધતિમાં ત્રણ સ્તર મુજબ વૃક્ષારોપણ કરવામાં આવે છે. જેમાં પહેલા સ્તર માટે વડ,પીપળો,ખાટી આંબલી,ઉંબરો,રાયણ, મહુડો, વગેરે પ્રકારના ઉચ્ચસ્તરીય રોપા, બીજા સ્તર માટે વાયવરણો, કૈલાસપતિ, બીલી, કદમ, સરગવા, વગેરે પ્રકારના મધ્યમ સ્તરીય રોપા અને ત્રીજા સ્તર માટે સતાવરી, અરડૂસી, કરમદા,કૃષ્ણ કમળ, સફેદ ચિત્રક, નગોડ વગેરે પ્રકારના નિમ્ન સ્તરીય રોપાની પસંદગી કરવામાં આવી છે. આટલું જ નહી હાઇવેની પહેલી લાઈન સુશોભન પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત છે. જેવા કે કંચનાર,ગરમાળો, બોગનવેલ, કૈલાસપતિ, કરેણ, ગીરીપુષ્પ, તામ્રપત્રી,સીતાઅશોક, પીન્કેશીયા વગેરે જેવા વૃક્ષો આકાર પામી રહ્યા છે,
*વનકવચમાં વૈવિધ્ય સભર જીવસૃષ્ટિ પણ પાંગરી રહી છે.*
સિમળગામ સહિત નવસારીના તમામ વનકવચમાં અલગ અલગ ૨૩ પ્રકારના પતંગિયા જેવા કે કોમન જેજેબલ, લાઇમ બટરફ્લાય, ઇવનિંગ બ્રાઉન, કોમન પાઈરેટ, બ્લુ પેન્સી, પ્લેન ટાઇગર, કોમન ક્રો, ડેનેડ એગ્ફ્લાય, કોમન સેઇલર, કોમન મોર્મોન, કોમન એમિગ્રાંટ, મોટલ્ડ એમિગ્રાંટ, વગેરે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ૩૬ થી વધુ પ્રકારના પક્ષીઓ જેવાકે સિપાઈ બુલબુલ, નાનો રાજાલાલ, દૂધરાજ, સમડી, શકરો, પોપટ, તાલિયો હોલો, ચાતક, કાગડીયો કુંભાર, કોયલ, ઇન્ડિયન રોલર, કલકલિયો, નાનો પતરંગો,તારોડિયુ, દિવાળી ઘોડો,હડીયો, ટપકીલી નાચણ, દેવ ચકલી, દૈયડ, વીડ ધાનચીડી, કંસારો,ઘંટી ટાકણો, ફૂલ સુંઘણી, બગલો, સનબર્ડ, ચકલી, કાળોકોશી, ટપુસિયું વગેરે પ્રકારના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. આમ વૈવિધ્યસભર જૈવ સૃષ્ટીનો નવસારી જિલ્લામાં વિકાસ થઇ રહ્યો છે.
*બોક્ષ-૨*
*વનકવચ પધ્ધતિના મુખ્ય સિદ્ધાંતો*
જમીનમાં જરૂરી માટીકામ કરી જમીનની ફળદ્રુપતા વધારવી
જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ કરવો.
–યોગ્ય સમયે ઓછા અંતરે ત્રણ સ્તરમાં ગીચ વાવેતર કરવું-પરસ્પર આંતરસ્પર્ધાનાં કારણે વનસ્પતિની ઝડપી વૃદ્ધિ
વનકવચ માટે ફક્ત સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય
કુદરતી વનોની જેમ જ વાવેતર પરિપક્વ થઈ વિકાસ પામે તેવું આયોજન કરવું
વનકવચ પધ્ધતિ હેઠળ સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેને લઇને નવસારી જિલ્લામાં વન વિભાગ દ્વારા ૧૦૭ પ્રકારના સ્થાનિક વૃક્ષોની પસંદગી વનકવચ માટે કરવામાં આવી હતી.
વનકવચ માટે સૌ પ્રથમ જમીન અનુસાર ખાડા ખોદવામાં આવે છે. સમતલ સપાટ અને ઢોળાવવાળી જમીનમાં ભૌગોલીક પરિસ્થિતી અનુસાર ખાડા ખોદવામાં આવે છે. નકામા ઝાંડી ઝાખરા સાફ કરી ૪-૪ મીટરના અંતરે વૃક્ષના પ્રકાર પ્રમાણે ૫૦ અને ૩૦ સેમીના ખાડા ખોદવામાં આવે છે.
વનકવચ માટે ત્રણ લેયરમાં રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવે છે. ઉચ્ચ સ્તર, મધ્યમ અને નિમ્ન સ્તર. વન કવચમાં વૃક્ષારોપણ બાદ ૨થી ૩ વર્ષ સુધી નિયમિત પાણી આપવાથી વૃક્ષોનો સમુહ એક નાનકડા વન રૂપે વિકાસ પામે છે.
*બોક્ષ-૩*
*વનકવચ પદ્ધતિના ફાયદા*
વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે. આ પ્રકારના વનો પ્રદુષણને અટકાવે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ પદ્ધતિમાં વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવેલ હોવાથી, વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ અટકે છે. આ વૃક્ષો એકબીજાને સીધા સુર્યપ્રકાશથી પણ બચાવે છે. આવા વનોમાં જૈવ વિવિધતા વિકસે છે. બે વર્ષના ટુંકા ગાળામાં જ વિકાસ પામેલ વનકવચ જુદા-જુદા પ્રકારના પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન બની જાય છે અને જમીન જીવંત થઈ જાય છે. આ પદ્ધતિથી ઘરોની આસપાસની જગ્યાને નાના બગીચા અથવા વનમાં ફેરવી શકાય છે. જે શહેરો માટે ખુબજ ફાયદાકારક પ્રવૃત્તિ તરીકે ગણી શકાય છે.
વનકવચ પદ્ધતિથી શહેરી વિસ્તારોમાં આવેલ મકાનોની આસપાસ તેમજ અન્ય નાની નાની જ્ગ્યાઓમાં ઝડપથી કુદરતી વનો ઊભા કરવામાં આવે છે જે માનવ જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવે છે. જેથી પર્યાવરણના રક્ષણ માટે સૌ જાગૃત નાગરિકોએ પોતાની પડતર જમીનમા વન કવચનું નિર્માણ અવશ્ય કરવું જોઇએ.





