
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
પી એમ શ્રી શાળા જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર ખાતે ૫૩મા રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૬ નું અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ ૧૬ જવાહર નવોદય વિદ્યાલયોના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોએ સક્રિયપણે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઝઘડિયા પ્રાંત અધિકારી પી.બી.વલવાઈ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શનનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
પોતાના સંબોધનમાં મુખ્ય અતિથિ પ્રાંત અધિકારી પી. બી. વલવાઈએ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક સોચ, સર્જનાત્મકતા અને તાર્કિક વિચારસરણીની મુક્ત મને પ્રશંસા કરી હતી. ૧૬ વિદ્યાલયોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઊર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્માર્ટ એગ્રીકલ્ચર અને વેસ્ટ મેનેજમેન્ટને લગતા વિવિધ વિજ્ઞાન મોડેલો પ્રદર્શિત કર્યા હતા. નિષ્ણાતોની ટીમે દરેક સ્ટોલની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રકલ્પોની ઝીણવટભરી વિગતો મેળવી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર આયોજન સફળ બનાવવામાં વિદ્યાલયના પ્રાચાર્ય રીતેશકુમાર ચૌધરી અને ઉપ પ્રાચાર્ય મનીષકુમાર જોષી તેમજ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો બહુમૂલ્ય સહયોગ રહ્યો હતો.



