બિનરાસાયણિક પદ્ધતિઓથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ – ટકાઉ ખેતીને કરશે વધુ સલામત
9 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જમીનજન્ય રોગોનો અસરકારક નિયંત્રણ માટે ખેડૂતો માટે સૂચનો જિલ્લા ખેતીવાડી અધિકારી, પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ખેડૂત મિત્રો માટે જમીનજન્ય રોગોનો અસરકારક નિયંત્રણ કરવા માટે બિનરાસાયણિક અને જૈવિક પદ્ધતિઓ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે. ખેતીમાં જમીનની તંદુરસ્તી જળવાય રહે અને રોગોનું પ્રભાવશાળી નિયંત્રણ થઈ શકે તે હેતુસર વિવિધ પગલાં સૂચવવામાં આવ્યા છે.દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું જોઈએ. જેથી જમીનજન્ય રોગો જેવા કે સૂકારો, મૂળનો કોહવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઇ શકે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા માટે કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવી જોઈએ.
સંપૂર્ણ કોહવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં-બતકના ખાતરનો વપરાશ વધારવો જેથી જમીનનું પોત સુધરે તેમજ રોગમાં ઘટાડો થાય. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દિવેલાના ખોળને ૭૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે તથા કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા રોગો જેવા કે ધરૂનું મૃત્યુ, મૂળખાઈ અને સૂકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન પ્રતિ હેક્ટરે વાવેતર પહેલા જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે. તેમજ રોગપ્રતિકારક જાતોના વાવેતરનો કરવાનો આગ્રહ રાખવો જોઈએ. મગફળીમાં ઉગસૂક, મૂળખાઇ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જીજેજી-૩૩ જાતની ભલામણ કરાય છે.જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું જોઈએ. દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈ રોગની તીવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે.
જમીન જન્ય ફૂગથી થતા રોગ (ઉગસૂક,સૂકારો,ધરૂનો કોહવારો, થડનો કોહવારો, મૂળનો કોહવારો) અને કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, શ્યુડોમોનાસ ફલુરેસેન્સનો ઉપયોગ (૮ થી ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો જોઈએ. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઈ તેના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. ટ્રાયકોડર્માને ૧૦ કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું. આવુ તૈયાર કરેલ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર ૧૦૦ કિ.ગ્રા. બીજા છાણિયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે.
મગફળીમાં થડનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે પ કિ.ગ્રા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૨૫૦ કિ. ગ્રા. દિવેલી/રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડર્મા ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું. દિવેલામાં સૂકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૫ કિ.ગ્રા.ને ૫૦૦ કિ.ગ્રા રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું. તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૮ થી ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો. તેમજ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડર્મા ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.