ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10 (SSC) અને 12 (HSC) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આજથી શરૂ
સમીર પટેલ, ભરૂચ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10 (SSC) અને 12 (HSC) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જેવો માહોલ દેખાઈ રહ્યો હતો.જેમાં ધોરણ 10 ની સવારના 10:30 થી 1:15 સુધી પરિક્ષા લેનાર છે જયારે ધોરણ 12 ની પરીક્ષા બપોરના 3:00 થી 6 :15 સુધી વિધાર્થીઓ પરીક્ષા આપશે.ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ધો.10 ના નોંધાયેલા 22583 વિદ્યાર્થીઓ પૈકી 32 પરીક્ષા કેન્દ્રો, 84 બિલ્ડીંગો, 809 બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે.જ્યારે બપોરના ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 8154 તથા ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ના 3048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો, 30 બિલ્ડીંગો,264 બ્લોકમાં પરીક્ષા યોજાશે તેજ રીતે એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહમાં 04 કેન્દ્રો,17 બિલ્ડીંગો,154 બ્લોકમાં પરીક્ષા આપનાર છે.ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જ્યારે આજે સવારે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતાં. જ્યાં તેઓને દરેક પરિક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવો એ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્ય હતા.ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ GNFC નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ ગુલાબ અને ચૉકલેટ આપીને આવકાર્યા હતા જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે આર.એસ. દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ એસપી મયુર ચાવડા એમિટી સ્કુલ ખાતે ઉપસ્થિત રહીને પરીક્ષાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષા પ્રદાન,વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલા છે.વધુમાં, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.