ગેરકાયદે 542 મકાન પાડી દેવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી
ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે 542 મકાન પાડી દેવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ગેરકાયદે મકાન ધારકોને આધાર-પુરાવા આપવા અગાઉ પણ નોટિસ આપવામાં આવી છે. 7 દિવસમાં મકાન ધારકો મકાન નહીં પાડે તો મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાની નોટિસને પગલે મકાન ધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ભાવનગરના બોરતળાવ ઓવરફ્લો પાણી જે થાપનાથ મહાદેવ પાસેના દરવાજાથી નીકળી ગઢેચી નદીમાં આવે છે, જે ધોબીઘાટ અને આરટીઓ પાસે થઇ કુંભારવાડાથી પસાર થઇ દરિયામાં મળે છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને પોતાના માલિકી આધારો તેમજ બાંધકામના મંજૂરીના આધારો આપવા માટે હિન્દુ-મુસ્લિમ ધોબી સોસાયટી, રાજ સોસાયટી, શિવમ સોસાયટી, મધુવન સોસાયટીને નોટિસ ફટકારવામાં આવી છે.
આ હુકમમાં મકાન ધારકોને 7 દિવસની મુદ્દત આપવામાં આવી છે.જો 7 દિવસમાં જાતે મકાન પાડવામાં નહીં આવે તો મકાન ધારકના ખર્ચે અને જોખમે આ મકાન પાડવાની કાર્યવાહી કરવામાં આવશે.