રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાતા “બિપરજોય” વાવાઝોડા નામની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તે માટે રાત્રીના સમયે પણ પ્રા.આ.કેન્દ્રો કાર્યરત કરી લોકોને સેવાઓ અપાઈ રહી છે.જયારે દરિયાઈ પટ્ટી વિસ્તારની સગર્ભા માતાઓને સલામત સ્થળે ખસેડાઈ છે.
દરિયાઈ પટ્ટી વિસ્તારોના ચાંચ,ખેરા,પટવા અને સમઢીયાળા સહિતના ગામડાઓમા નજીકની ઈ.ડી.ડી. (સંભવિત સુવાવડવાળી) વાળી કુલ ૪૪ સગર્ભા માતાઓ જોવા મળેલ.જેમનો છેલ્લા ચાર દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા સંપર્ક કરી તેમાંથી ૨૦ સગર્ભા માતાને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ છે. જયારે ૧૫ સગર્ભા માતાઓનું સરકારી હોસ્પિટલ રાજુલા અને મહુવા ખાતે સફળતાપૂર્વક સ્થળાંતર કરવામાં આવેલ છે.આ કામગીરીમા જરૂર પડે ત્યા વહીવટી તંત્રની પણ મદદ લઈ કામગીરી કરવામા આવેલ છે.
સગર્ભા માતાઓના સ્થળાંતર માટે ૧૦૮,પી.એચ.સી.ની એમ્બ્યુલન્સ તેમજ ખિલ-ખિલાટ વાહન એમ તમામની મદદ લઈ વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને અસરકારક સારવાર મળી રહે તે રીતનુ આગોતરુ આયોજન કરવામા આવેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કક્ષાએ પણ ૨૪ કલાક સેવાઓ મળી રહે તે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,ડૉ.નિકુંજ દવે,ભનુભાઈ લાડુમોર,અશોકભાઈ વેગડ,અનિતાબેન સરવૈયા અને આશા બહેનો સહિતના તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા ખડેપગે હાજર રહી સંભવિત વાવાઝોડા સંદર્ભે આરોગ્ય વિષયક કામગીરી કરાઈ રહી છે.