
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે વિવિધ માર્ગોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માર્ગોની સલામતી અને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.
વિભાગ દ્વારા પીંપરી–કાલીબેલ–ભેંસકાત્રી રાજ્ય ધોરીમાર્ગ પર સિમેન્ટ કોંક્રિટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીથી માર્ગનું ટકાઉપણું વધશે તેમજ વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સરળ અવરજવરનો લાભ મળશે.
તેમજ આગામી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને વઘઈ–સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર જંગલ કટીંગ તેમજ રોડ સાઇડ સ્ટ્રક્ચર્સની સફાઈની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી માર્ગ પર દૃશ્યતા જળવાઈ રહે અને વાહનવ્યવહાર અવરોધરહિત બની શકે.
તે ઉપરાંત આહવા–વઘઈ માર્ગ પર ગટર લાઇનની સફાઈ તેમજ ભારે વરસાદના કારણે માર્ગની બાજુમાં ધરાશાયી થયેલા વૃક્ષો, ડાળીઓ અને અન્ય કાટમાળ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જેના કારણે માર્ગો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે અને રાહદારીઓની અવરજવર વધુ સુરક્ષિત બની છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર સતત રિસ્ટોરેશન અને જાળવણીની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો અને મુસાફરોની સલામત અવરજવર સુનિશ્ચિત થઈ શકે.
જિલ્લાના તમામ નાગરિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે જિલ્લા પ્રશાસન અને સંબંધિત વિભાગો દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. મુસાફરી દરમિયાન માર્ગ પર મૂકવામાં આવેલા રોડ સેફ્ટી સાઇનેજ, ચેતવણી બોર્ડ તથા માર્ગદર્શક સૂચનોનું પાલન કરી સાવચેતીપૂર્વક વાહન ચલાવે, જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે અકસ્માતને ટાળી શકાય.





