દાહોદના એક દિવસીય પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘દ્રષ્ટિ નેત્રાલય’ની મુલાકાત લીધી

તા.૨૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદના એક દિવસીય પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘દ્રષ્ટિ નેત્રાલય’ની મુલાકાત લીઘી
મુખ્યમંત્રીએ હોસ્પિટલના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન બપોર બાદ અત્રેના જાણીતા ‘દ્રષ્ટિ નેત્રાલય’ની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના ક્ષેમકુશળ પૂછ્યા હતા.મુખ્યમંત્રીના હોસ્પિટલ પરિસરમાં આગમન સમયે દ્રષ્ટિ નેત્રાલયના ડિરેક્ટર્સ અને સમગ્ર સ્ટાફ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલના ડિરેક્ટર ડો. શ્રેયા શાહે મુખ્યમંત્રીને ‘થ્રી-ડી સ્કેલ મોડેલ’ ના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા આપી માહિતગાર કર્યા હતા. ડો. શ્રેયા શાહે મુખ્યમંત્રીશ્રીને હોસ્પિટલના આગામી પ્રોજેક્ટ્સ, ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અને સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીથી વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા.આ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્ય સેવાઓના વધુ સુદ્રઢીકરણના ભાગરૂપે હોસ્પિટલના ડિરેક્ટર્સ ડો. મેહુલ શાહ અને ડો. શ્રેયા શાહ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ છેવાડાના માનવી માટે આશીર્વાદરૂપ બની રહી છે, તેવા હેતુને સાર્થક કરતા મુખ્યમંત્રીએ હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. એક સંવેદનશીલ જનપ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રીશ્રીએ અત્યંત આત્મીયતાપૂર્વક દર્દીઓના ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી અને તેમને મળતી નિઃશુલ્ક સારવાર તથા સુવિધાઓ અંગે જાતમાહિતી મેળવી હતી




