
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
કૉંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા/ ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓની ખુલ્લી ધમકીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાનો દ્વારા આહવા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી.ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાહએ ગત તા. ૧૧/૯/૨૦૨૪ ના રોજ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યુ હતુ કે “રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ” ( ઈન્દિરા ગાંધીની જેમ હત્યા) તથા સંજય ગાયકવાડ, ધારાસભ્ય, શિંદે સેના (મહારાષ્ટ્રમાં ભાજપનાં સહયોગી) તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ જાહેરમાં ૧૧ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ૧૧ લાખ ઈનામ આપીશ તથા રેલ્વે રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુએ તા. ૧૫-૯-૨૦૨૪ના રોજ, મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યો હતો. બિટ્ટુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો.આ સહિતના કેટલાક ભાજપના નેતાઓ અને તેમના સહયોગી દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોય જેને લઇને કોંગ્રેસ પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.રાહુલ ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે.ઉપરોક્ત ઘટનાઓ દ્વારા, ભાજપ/તેના સાથી પક્ષોના નેતાઓ, વિપક્ષના નેતાની સલામતી અને સુરક્ષાને જોખમમાં નાખવાનો ઈરાદો ધરાવે છે. તેમજ સમગ્ર દેશમાં જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.ખાસ કરીને કેટલાક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અપકૃત્ય કરી રહેલ છે.ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓએ ઉપર વર્ણવ્યા મુજબ માત્ર નિવેદનો જ આપ્યા નથી.પરંતુ તેમના સહયોગીઓ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ગુનાહિત નિવેદનો ફેલાવ્યા હતા તેમજ જાણી જોઈને ઉશ્કેરણી પેદા થાય તેવું કામ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આવા અનેક આક્ષેપો ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.તેમજ આ તમામ ગુનેગારો સામે BNS, 2023ની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, ડાંગ જિલ્લા આઇટી સેલ પ્રમુખ મનીષ મારકણા, આહવા કૉંગ્રેસ તાલુકા સંગઠન પ્રમુખ સુભાષ વાઘ, આદિજાતિ સેલ પ્રમુખ હરેશ ચૌધરી ની આગેવાની હેઠળ આહવા પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.અને આ બાબતે એફ.આઈ.આર નોંધવાની માંગ કરી હતી..





