
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ખાતરનીઅછતથીશેરડીસહિતનાપાકોનેનુકસાનથવાનીભીતિવ્યક્ત
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. આ ગંભીર પ્રશ્નને લઈ રાષ્ટ્રીય આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ તથા ગ્લોબલ મેડિકલ જનસેવા સર્જન અને એક્સ-સર્વિસમેન પ્રમુખ ડૉ. નીરવ ભુલાભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓને ઇ-મેઇલ મારફતે રજૂઆત કરવામાં આવી છે.
ડૉ. પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં યુરિયા ખાતર સમયસર ઉપલબ્ધ ન થતા શેરડી સહિતના પાકોમાં ગંભીર અસર જોવા મળી રહી છે. યુરિયાની અછતને કારણે શેરડીની વૃદ્ધિ ધીમી પડી રહી છે તેમજ પાકમાં “લોજિંગ” જેવી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા વધી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમયસર નાઈટ્રોજન ન મળવાથી શેરડીમાં “પોડ” બનવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને પાકની રિકવરીમાં ઘટાડો થાય છે. જેના પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે.
રજૂઆતમાં જણાવાયું છે કે આદિવાસી વિસ્તારોની જમીન મોટા ભાગે હળવી અને પથરાળ હોવાથી પાક માટે નાઈટ્રોજન આધારિત ખાતર ખૂબ જ જરૂરી બને છે. યુરિયાની અછતના કારણે ખેડૂતોને ખાનગી વેપારીઓ પાસેથી વધુ ભાવે ખાતર ખરીદવાની ફરજ પડે છે, જેનાથી ખેડૂતોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
ડૉ. નીરવ પટેલે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં પણ તેની સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. શેરડીમાં ખાંડનું પ્રમાણ ઘટતા ખેડૂતોને ઓછું વળતર મળવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લઈ આદિવાસી વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માંગ કરી છે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને કૃષિ ઉત્પાદન પર માઠી અસર ન પડે.





