વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલ નિશાણા ગામનાં ખરદાંડી ફળિયામાં પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં મસમોટુ ચર્ચ બનાવી આદિવાસી બાળકોને ધર્માંતરણ વટાળ પ્રવૃત્તિનાં પાઠ ભણાવતા હોવાનો સનસનીખેજ આક્ષેપ ડાંગ જિલ્લા અગ્નિવીર હિન્દૂ સંગઠન દ્વારા લગાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો થોડા સમય પહેલા જ તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે પૂજ્ય મોરારીબાપુની કથા યોજાઈ હતી.જેમાં રાજ્યનાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત હતા.તે વેળાએ પૂજ્ય મોરારી બાપુએ એક શિક્ષકની વર્ણવેલી વ્યથાનાં આધારે કહ્યુ હતુ કે ધર્માંતરણનાં ગંભીર મુદ્દે માત્ર ચિંતન કરવાની જરૂર નથી ચિંતા કરવાની પણ જરૂરિયાત રહેલ છે.તાપી જિલ્લામાં ઈસાઈ શિક્ષકો પગાર સરકારનો ખાય છે પરંતુ તેઓ સરકારની નીતિને આગળ વધારતા નથી એ બરાબર નથીનું આક્રોશીત નિવેદન આપ્યુ હતુ.જે બાદ વિવાદ છેડાયો હતો.તાપી બાદ ડાંગ જિલ્લામાં પણ આવો કિસ્સો સામે આવ્યો હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.ડાંગ જિલ્લાનાં છેવાડે તાપી જિલ્લાને અડી આવેલ સુબીર તાલુકાનું નિશાણા ગામનાં ખરદાંડી ફળિયામાં સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય પ્રવેશદ્વારમાં જ ગેરકાયદેસર મસમોટુ ચર્ચ તાણી દેવાયું છે.ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળા હોવા છતાં શાળા કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર ચર્ચ કેવી રીતે બનાવવામાં આવ્યુ તેવા સવાલો ઉભા થવા પામ્યા છે.ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી મીશનરીઓ દ્વારા શિક્ષણ અને આરોગ્યની આડમાં ધર્માંતરણ (વટાળ પ્રવૃત્તિની) ફરિયાદો અવારનવાર ઉઠી છે.તેવામાં સુબીર તાલુકાના નિશાણા ગામે ખરદાંડી ફળિયામાં વર્ષોથી સરકારી શાળાના કમ્પાઉન્ડમાં મસમોટુ ચર્ચ ઉભું કરી પાયાનું શિક્ષણની આડમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તનનાં પાઠ ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ ડાંગ જિલ્લા અગ્નિવીર હિન્દૂ સંગઠનનાં પ્રમુખ મહેન્દ્રસિંહ રાજપુરોહિત દ્વારા લગાવવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ સમગ્ર પ્રકરણમાં શિક્ષકો પર પણ શંકાની સોય તકાઈ રહી છે.તેવામાં આ સમગ્ર બાબતે જિલ્લાનાં નવનિયુક્ત કલેકટર શાલીની દુહાન યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખ દ્વારા જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં નિશાણા ગામે ખરદાંડી પ્રાથમિક શાળા નાં કંપાઉન્ડમાં ધર્માંતરણ બાબતેનાં આક્ષેપો મારા ધ્યાનમાં આવ્યા છે.જે બાબતે મે સુબિર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી તપાસનાં રિપોર્ટનાં અહેવાલ મંગાવ્યા છે.તપાસનાં રિપોર્ટ અહેવાલ જોઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે..