
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે દેવ ઝૂલણી એકાદશી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની રેવાડી )પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાયા હતા અને કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા.
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે દેવ ઝૂલણી એકાદશી (જળ ઝુલણી એકાદશી) ની નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વઘઇ નગરના શ્રીકૃષ્ણ ભક્તો તથા વઘઇ અને વાંસદા ખાતે રહેતા રાજસ્થાની સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.અને શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થયા હતા. શોભાયાત્રા દરમિયાન જય શ્રીકૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.તેમજ ભવ્ય શોભાયાત્રા વઘઇ નગરનાં શ્રીઅંબા માતાજીના મંદિરેથી નીકળી મેઈન બજાર થઈ વઘઇનાં સર્કલ પહોંચી હતી.જ્યાં કૃષ્ણ ભક્ત ભાઈઓ તેમજ બહેનો નૃત્ય ગાન કરી ઝૂમી ઉઠ્યા હતાં.આ પાલખી શોભાયાત્રા નાની વઘઇ કૈલાદ ખાતે આવેલ અંબિકા નદીના તઠ પર પહોંચી હતી.જ્યા જય શ્રીકૃષ્ણના ગગનચુંબી જય નાદ સાથે વૈષ્ણવજનો એ ભગવાન શ્રીકૃષ્ણ ને વહેતા શીતળ જળમાં ઝુલાવ્યા હતા.
ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ ને શણગારવામાં આવ્યા હતા અને ચંદન કુમકુમનું તિલક કરી ડી.જે.ના સથવારે સંગીતની સુરાવલીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ ની પ્રસાદી ચઢાવી ધુપ દીપ સાથે મહાઆરતી કરવામાં આવી હતી.ત્યારે સર્વે ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણ ના દર્શન કરી મંગલમય કામનાઓ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વૈષ્ણવ પૂજારીઓ દ્વારા છપ્પનભોગ ની પ્રસાદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ દેવ ઝૂલણી એકાદશી પર્વ નિમિત્તે મકરધ્વજ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યાં તમામ કૃષ્ણ ભક્તોએ મહાપ્રસાદી નો લાભ લીધો હતો..





