
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે તાજેતરમાં એક પત્રકાર પરિષદ યોજીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા.આ પત્રકાર પરિષદ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. લોકસભાનાં દંડક અને વલસાડ-ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે સ્પષ્ટતા કરી કે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ અંગેની તમામ ચર્ચાઓ અને વિવાદો 2022નાં વર્ષમાં જ સમાપ્ત થઈ ગયા છે.સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યુ કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.તેમણે દક્ષિણ ગુજરાતનાં સમગ્ર આદિવાસી સમાજને માહિતી આપી હતી કે આવો કોઈ પ્રોજેક્ટ હાલમાં અમલમાં નથી કે આ વિષય પર કોઈ ચર્ચા થઈ નથી. આ પ્રોજેક્ટને ભાજપ સરકારે આદિવાસી સમાજના હિતને ધ્યાનમાં રાખીને રદ કરી દીધો છે.ધવલભાઈ પટેલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોઈ પણ ચૂંટણી નજીક આવે એટલે તેઓ વારંવાર આવા મુદ્દાઓને જીવિત કરીને રાજકીય રોટલો શેકી રહ્યા છે.તેમણે આરોપ મૂક્યો કે અનંત પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાંસદે સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરી હતી કે આવા લોકોની વાતોમાં ન આવવું અને સત્યને ઓળખીને ખોટી વાતો પર ધ્યાન ન આપવુ.અહીં વલસાડ-ડાંગનાં સાંસદ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ પર પ્રહાર કરવામાં આવતા વાંસદા ચીખલી વલસાડ સહીત ડાંગ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો હોય તેવું જણાઈ રહ્યું છે.





