Rajkot: સરકારી ખરાબાની જમીન ઉપરના ગેરકાયદે બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર

તા.૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
લોધિકા તાલુકાના સરકારી ખરાબાની અંદાજિત રૂ ૩ કરોડની કિંમતની ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.
જે અન્વયે આજ રોજ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામમાં રાજકોટ-કાલાવડ મેઈન રોડ ઉપર આવેલ સરકારી ખરાબાની જમીન સર્વે નં. ૪૦ અને ૮૧ ની ૨૫૦૦ ચો.મી જમીનમાં કિંમતી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા – ૪ હોટેલ અને રેસ્ટોરન્ટ તથા ઈટોના ભઠ્ઠાઓનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. અને અંદાજિત રૂ. ૩ કરોડની કિંમતની ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
આ તકે લોધિકા મામલતદાર શ્રી ડી.એન.ભાડ એ જણાવ્યું હતું કે, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અને અનઅધિકૃત કબ્જો ખાલી કરવા ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ ન થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.
ડિમોલીશન સમયે નાયબ મામલતદારશ્રી પી.બી.ત્રીવેદી, શ્રી એન.વી.ધ્રાંગીયા, શ્રી એન.વી.ગોહિલ, રેવન્યુ વીભાગના કર્મચારીઓ, પોલીસ, ફાયર અને પી.જી.વી.સી.એલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





