દ્વારકામાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી સત્કાર સ્વાગત કાર્યક્રમમાં રંગોળીના માધ્યમથી મતદાર જાગૃતિ અભિયાન
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ અંતર્ગત તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રજાજનો ધર્મની સાથે સાથે મતદાન કરી લોકશાહીના અવસરમાં ભાગીદાર થઈ નાગરિક ધર્મ પણ નિભાવે તે માટે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ સત્કાર સમારોહ અંતર્ગત યોજાયેલી શોભાયાત્રાના રૂટ ઉપર મતદાન કરવા પ્રેરણા આપતી રંગોળી દોરવામાં આવી હતી.
ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની જાન દ્વારકા ખાતે આવી પહોંચતા વિવિધ સમાજ, વિવિધ સંસ્થાઓ અને એસોશીએશન દ્વારા વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સ્થળો જેવા કે, રબારી ગેટ, તીન બત્તી ચોક,જોધા માણેક ચોક, કીર્તિ સ્તંભ,હાથી ગેટ ખાતે જિલ્લા સ્વિપ એકટીવિટી નોડલ શ્રી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ તેમજ BRC, દ્વારકા ટીના બેન ત્રિવેદીની રાહબરી હેઠળ ટીમ એજ્યુકેશન દ્વારકાએ રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.